નિકાસબંધીથી ડુંગળીના ભાવમાં ગાબડા, વેપાર સંપૂર્ણ ઠપ
ગરીબોની કસ્તુરી ગણાતી સુકી ડુંગળીની નિકાસ પર સરકાર દ્વારા રોક લગાવી દેતા તેની અસર યાર્ડની આવક અને ભાવ ઉપર પડી છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રભના યાર્ડમાં આજે ડુંગળીની આવક બંધ કરાતા હરરાજી પણ બંધ રહી હતી અને ભાવમાં પણ ગાબડું પડયું છે. ડુંગળીની આવક અને ગુણવતાની દ્રષ્ટિએ ભાવમાં પ્રતિ 20 કિલોએ 150 થી 200 રૂપીયાનું ગાબડું પડયું છે. અને તેનાથી ખેડુતો આર્થીક મુંઝવણમાં મુકાઇ ગયા છે. દેશભરમાં વધેલા ડુંગળીના ભાવને અંકુશમાં લેવા સરકારે નિકાસ બંધી કરી પરંતુ તેની અસર હાલ યાર્ડમાં દેખાઇ રહી છે.
રાજકોટ સબયાર્ડના ઇન્સ્પેકટરે જણાવ્યું હતું કે માવઠુ અને વાતાવરણમાં આવતા ફેરફારના કારણે તેની અસર ડુંગળીના વાવેતર ઉપર પડી છે અને ઉત્પાદન ઓછું થતા આવકમાં મોટું ગાબડું પડયુ છે. આજે યાર્ડમાં આવક અને હરરાજી બંધ રાખવામાં આવ્યો છે અને ત્રણ વાગે વેપારી અને દલાલો સાથે બેઠક કરવામાં આવશે. આ બેઠક બાદ આવક અને હરરાજી કયારથી શરૂ થશે તેનો નિર્ણય લેવામાં આવશે અને બેઠક સફળ થશે વહેલી તકે આવક અને હરરાજી શરૂ થશે. અન્યથા આ નિર્ણય લંબાવવો પણ પડી શકે છે.
વર્તમાન સમયમાં લાલ પત્તાવાળી ડુંગળી વધારે આવી રહી છે જે ડુંગળીની આવરદા માત્ર બે દિવસની હોય છે અને ત્યારબાદ તે ઢીલી અને ઉગી નીકળવાનું શરૂ થાય છે. જયારે પીળા પતાવાળી ડુંગળીમાં 8 થી 10 દિવસ સુધી કોઇપણ જાતની નુકશાની થતી હોતી નથી. હાલ ખેડુતો પાસે મોટાભાગની લાલ ડુંળીનો જથ્થો જ છે તેથી ખેડુતો પણ મુંઝવણમાં મુકાયા છે અને સરકાર વહેલો નિર્ણય કરે તેવી આશા માંડી બેઠા છે.
ડુંગળીના વેપારી અશોકભાઈએ જણાવ્યું હતું કે થોડા દિવસો ખેડૂતોનો જે માલ લીધેલો છે. 500 થી 600 રૂૂપિયામાં ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદી કરી હતી. પરતું કેન્દ્ર દ્રારા અચાનક ડુંગળીની નિકાસ બંધ કરતાં વેપારી હાલ ડુંગળીના ભાવ 350 થી 300 રૃપિયા થઈ જવાના કારણે ખેડૂતો સાથે વેપારી પણ મોટા પ્રમાણ નુકસાન જવાની ભીતિ જોવા મળી રહી છે. હાલ તો રાજકોટ સહિત રાજ્ય ભરના માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહી કરવામાં આવે ત્યાં સુધી રાજ્યના મોટાભાગના માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવશે
વધુમાં વેપારીએ જણાવ્યું હતું કે બીજી બાજુ કોઈ પણ ખેડૂતો પોતાની ડુંગળી વેચવા માટે તૈયાર નથી એક સાથે જ મોટા પ્રમાણમાં ભાવ ઘટાડો થતાં કોઈપણ ખેડૂતો ડુંગળી વેચવા માટે પણ તૈયાર થતું નથી.
સરકાર નિર્ણય વહેલો કરે, નુકસાન મોટું થશે: ખેડૂત
માણેકવાડાના ખેડૂત પ્રવીણભાઈ વસોયાએ પીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું પહેલા ડુંગળી લઈને આવ્યો હતો ત્યારે મને 500 થી 600 રૂૂપિયા મળ્યા હતા. હાલો ફરી બીજી વખત ડુંગળી લઈને આવ્યો છું તો મને 300 થી 350 રૂૂપિયા પણ મળતા નથી અને કોઈ પણ વેપારી ડુંગળી લેવા માટે તૈયાર નથી. જો આ ડુંગળી બે થી ત્રણ દિવસ એમનેમ પડી રહેતો ડુંગળી કોઈપણ વેપારી લેવા ત્યાર થશે નહીં. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા કોઈપણ નિર્ણય વહેલો કરવામાં આવે બાકી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવશે.
ગત વર્ષ કરતા 70થી 75 હજાર કટ્ટાની આવક ઘટી
રાજકોટ સબ યાર્ડના ઇન્સ્પેકટરના જણાવ્યા મુજબ દર વર્ષ આ સમયગાળામાં યાર્ડમાં 80 હજારથી એક લાખ જેટલા કટ્ટાની આવક થતી હોય છે. પરંતુ આ વર્ષ 70 થી 75 હજાર કટ્ટાની આવક ઓછી થઇ જતા હાલ યાર્ડમાં દૈનિક માત્ર 20 થી 25 હજાર કટ્ટાની આવક જ થઇ રહી છે. અને તેના લીધે ભાવમાં રૂ.200 સુધીનો ઘટાડો થયો છે પંતુ ત્રણ ચાર દિવસમાં ભાવમાં સ્થિતિ સુધરી જશે.