જસદણ-વીંછિયામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું: બેની ધરપકડ
રાજકોટ જિલ્લાના જસદણ વિંછીયા પંથકમાં નશીલી ખેતીના બનાવો વધી રહ્યાં છે ત્યારે તાજેતરમાં જ વિંછીયા પંથકમાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યા બાદ ગઈકાલે ફરી જસદણ પોલીસ અને એસઓજીએ જસદણ અને વિંછીયા પંથકમાં બે સ્થળે દરોડા પાડી ગાંજાનું વાવેતર કરનાર બે ખેડૂતની ધરપકડ કરી 208 કિલો ગાંજાનો છોડ સાથે 20 લાખનો મુદ્દામાલ કબજે કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જસદણ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાળાસર ગામની સીમમાં આવેલ 12 વિઘાની વાડીમાં છાપો માર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન ધનજીભાઈ નાનજીભાઈ કોતરા (ઉ.72)ની વાડી પડામાં સુકાવેલો 159.330 કિલોગ્રામ ગાંજાના છોડ મળી આવ્યા હતાં. પોલીસે 15,93,300નો ગાંજાનો જથ્થો કબજે કરી ખેડૂત સામે જસદણ પોલીસમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
બીજી બાજુ એસઓજીએ વિંછીયાના પાટીયાળી ગામે રહેતા ધીરૂભાઈ ખોડાભાઈ તાવીયા (ઉ.56)ની વાડીમાં છાપો મારી તપાસ કરતાં કપાસના વાવેતરની વચ્ચેથી 48.774 કિલો ગ્રામ ગાંજાના છોડ મળી આવ્યા હતાં. પોલીસે 4.87.740નો ગાંજાનો જથ્થો અને મોબાઈલ ફોન કબજે કરી ખેડૂત સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસની પુછપરછમાં પાટીયાળી ગામના ખેડૂતે પોતાની 20 વિઘાની વાડીમાં જીરૂ, રજકો અને કપાસનું વાવેતર કર્યુ હતું જેમાં કપાસની વચ્ચે ગાંજાના છોડ પણ વાવ્યા હોવાનું જણાવ્યું હતું.
જસદણ અને એસઓજી પોલીસે બે સ્થળે દરોડા પાડી 208 કિલો ગાંજાનો જથ્થો કબજે કરી 20.80 લાખનો મુદ્ધામાલ કબજે કર્યો છે. આ દરોડાની કાર્યવાહીમાં જસદણનાં પીઆઈ આર.એમ.સાકડીયા, એસઓજીના પીએસઆઈ બી.સી.મિયાત્રા, અતુલભાઈ, જયવીરસિંહ, હિતેશભાઈ, અમીતભાઈ, ભગીરથસિંહ, વિજયભાઈ સહિતના સ્ટાફે કરી હતી.
રાજકોટમાંથી 33 હજારના ગાંજાના જથ્થા સાથે રિક્ષાચાલક ઝડપાયો
રાજકોટના રેલવે સ્ટેશન નજીક પ્રોવિઝન સ્ટોર પાસે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રિક્ષા ચાલક ઈસ્માઈલ આમદ શેખ (ઉ.45)ની ધરપકડ કરી તલાસી લેતાં તેના કબજામાંથી 33,820ની કિંમતનો 3.382 કિલોગ્રામ ગાંજો મળી આવતાં આરોપી સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી ગાંજાનો જથ્થો અને બે મોબાઈલ મળી 43,820નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડાની કાર્યવાહી એસઓજીના પીઆઈ જે.ડી.ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.