ગોંડલ પાલિકાના કારોબારી ચેરમેન સહિત ચાર શખ્સે સુરતના કોન્ટ્રાક્ટરને ગોંધી બેફામ માર માર્યો
ગોંડલમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું ત્રણ વર્ષનુ અંદાજિત 12 કરોડ રૂપિયાનું ટેન્ડર અમદાવાદની પોતાની માનીતી શ્રીજી એજન્સીને અપાવવા માટે ભાજપ શાસિત ગોંડલ નગરપાલિકાના કારોબારીના ચેરમેન, ચીફ ઓફિસર સહિત ચાર વ્યક્તિએ સુરતના કોન્ટ્રાક્ટરનું ગોંડલના અક્ષરમંદિર પાસેથી અપહરણ કરી જઈ એક બંગલાની ઓફિસમાં પાંચ કલાકથી વધુ ગોંધી રાખી ઢોરમાર માર્યાના આક્ષેપ સાથે પોલીસમાં અરજી કરવામાં આવી છે.
કોન્ટ્રાક્ટરને બેફામ ગાળો આપી,જે ટેન્ડર ભર્યું હતું તે સંદર્ભેની તમામ બાબતોનું સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી તેની નોટરી કરાવ્યા બાદ મારે કોઇ ટેન્ડર સંદર્ભે કાર્યવાહી કરવાની થતી નથી હું મારી તમામ પ્રક્રિયા પાછી ખેંચી લઉં છું તેવું જાહેર કરાવી તેનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હોવાની ચોંકાવનારી વિગતો સુરતના જીવીબા પાર્ક સોસાયટીમાં રહેતા અને દરબાર વેસ્ટ કોર્પોરેશન નામની રાજ્યની અલગ અલગ 10 પાલિકા-મહાપાલિકામાં કોન્ટ્રાક્ટ ધરાવતા બિપીનસિંહ એમ. પિલુદરીઆએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજકોટ રેંજ આઈજી અશોક યાદવ, જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોર તેમજ સિટી બી ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટરને આધાર પુરાવા સાથેની ફરિયાદ કરી આ ઘટનામાં સંડોવાયેલા તમામ શખ્સો સામે કાનૂની રાહે પગલાં લેવા અને પોતાને પોલીસ રક્ષણ આપવા માંગ કરી છે.
દરબાર વેસ્ટ કોર્પોરેશન સુરતના સંચાલક બિપીનસિંહ પિલુદરીઆ અને તેમની સાથે જેનું અપહરણ કરવામાં આવ્યું હતું તે દિનેશભાઈ સતાણીના નામે કરાયેલી લેખિત અરજીમાં જણાવવામાં આવ્યું છે કે,ગોંડલ નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ રઘુરાજસિંહ જાડેજા,ચીફ ઓફિસર એ.જે. વ્યાસ,ગોંડલ નગરપાલિકાના સદસ્ય ચંદુભાઈ મોહનભાઈ ડાભી અને મયંકભાઈ કચરાભાઈ વૈષ્ણવે ગત શુક્રવારે ગોંડલના અક્ષર મંદિર પાસેથી અપહરણ કરી નજીકમાં હનુમાનજીની ડેરી પાસે આવેલા એક બંગલાની ઓફિસમાં લઈ ગયા હતા જ્યાં બેફામ માર મારવામાં આવ્યો હતો અને પરિવારને પતાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ અરજી મામલે ફરિયાદ નોંધાઈ હતી.