યાત્રાધામ વીરપુરમાં હાથ સફાઈ અને ચોરીની ઘટના છતાં પોલીસ નિદ્રાધીન
યાત્રાધામ વિરપુર જલારામમાં છેલ્લા એક માસની અંદર તસ્કરી તેમજ હાથ સફાઈની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે, લોકોના ઘરો, ધાર્મિક સ્થળો પર તસ્કરીની ઘટનાઓ બની છે અને યાત્રાધામ વીરપુરમાં દર શુક્રવારે ભરાતી ગુજરી બજારની અંદર પણ મોબાઈલ, રોકડ સહિતની ચોરી થયાની અનેક લોકફરિયાદો ઊઠી છે ,દર શુક્રવારે ભરાતી ગુજરી બજારમાં ખરીદ માટે આવતા અનેક મહિલાઓના મોબાઈલ, પર્સ અને રોકડની ચોરીઓ થઈ રહી હોવાનું સામે આવ્યું છે,તો તસ્કરોએ મુક્તિધામ એટલે કે સ્મશાનને પણ તસ્કરી કરવામાં છોડ્યું નથી.
યાત્રાધામ આવેલ મુક્તિધામ સ્મશાનમાં પણ બબે વખત તસ્કરો ત્રાટકીયા હતા,થોડા સમય પહેલા મુક્તિધામમાં ફિટ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા ડિવિઆર અને એલસીડી ટીવી સહિતની ચોરી કરી ઉઠાવી ગયા હતા તેમજ અસ્થી રાખવાના લોકર પણ તસ્કરોએ તોડી નુકશાન કર્યું હતું ત્યારે ગઈ રાત્રે બીજી વખત મુક્તિધામમાં ચોરીનો બનાવ બન્યો છે જ્યારે એક પાનના ગલ્લાનું સટર પણ તોડવાની કોશિશ કરી હતી,
પરંતુ વીરપુર પોલીસ ઘોર નિંદ્રામાં હોય તેવું સામે આવ્યું છે, વીરપુરમાં તસ્કરીની ઘટના અને ગુજરી બજારમાં હાથ સફાઈ કરતી ટોળકી છેલ્લા ઘણા સમયથી સક્રિય છે પરંતુ આ ટોળકી જાણે પોલીસની નિંદ્રાનો લાભ લઈ અને આળસનો ફાયદો ઉપાડી લોકોને લૂંટી રહ્યા છે ત્યારે વીરપુર આવી તસ્કરીની ઘટનાઓ અને દર શુક્રવારે ભરાતી ગુજરી બજારમાં લોકોના મોબાઇલ અને મહિલાઓના પર્સની ચોરી કરતા તસ્કરોને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે તેવી યાત્રાધામમાં લોકમાંગ ઊઠવા પામી છે.
યાત્રાધામ વીરપુરમાં ચોરીઓના તેમજ કોઈ અન્ય ગુનાખોરીના બનાવો ન બને તે માટે છ માસ અગાવ જ રાજ્ય સરકારે જીલ્લા પંચાયતના સદસ્યની અંદાજે દસ લાખ રૂૂપિયા જેટલી માતબર રકમની ગ્રાન્ટ ફાળવીને વીરપુરમાં ફરતે બાજુ 26 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ આ સીસીટીવી કેમેરા જાને શોભાના ગાંઠિયા સમાન હોય તેમ અનેક કેમેરા બંધ હાલત માં છે તેવા લોકો આક્ષેપો કરી રહ્યા છે અને દસ લાખ રૂૂપિયાની માતબર રકમની યોજના ઉપર પાણી ફરી ગયું હોય તેવું સામે આવ્યું છે.