SPGના સ્નેહમિલનમાં ફજેતો, ખુરશીઓ ખાલી રહેતા CM રવાના થઇ ગયા
રાજકોટના કુવાડવા રોડ પર ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં એસપીજી દ્રારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત તો રહ્યા હતા પરંતુ કાર્યક્રમ સ્થળની ખુરશીઓ ખાલી જોઇ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેજ કાર્યક્રમમાં ભાગ લીધા વિના જ રવાના થયા હતા.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના લેઉવા અને કડવા પાટીદાર સમાજના અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને મોટાભાગના આગેવાનો હાજર રહ્યા હતા પરંતુ પાંચેક હજાર લોકોની બેઠક વ્યવસ્થા સાથે ગોઠવાયેલી ખુરશીઓ પૈકી 90 ટકા ખુરશીઓ ખાલી રહેતા આયોજકોનો ફજેતો થયો હતો જ્યારે આગેવાનોએ મોટુમન રાખી ખાલી ખુરશીઓ સામે ભાષણ ઠપકાર્યુ હતું.
એસપીજી દ્રારા સ્નેહમિલન કાર્યક્રમ માટે સાંજના ચાર વાગ્યાનો સમય રાખવામાં આવ્યો હતો. સમયસર મુખ્યમંત્રી તો કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા હતા પરંતુ કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી અને ખુરશીઓ ખાલી હતી જેના કારણે મુખ્યમંત્રીએ સ્ટેજ કાર્યક્રમ પર જવાનું ટાળ્યું હતું. મુખ્યમંત્રી કાર્યક્રમ સ્થળ પરથી રવાના થયા બાદ સ્ટેજ પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં અગત્યની બેઠક હોવાથી તાત્કાલિક ગાંધીનગર જવાનું હોવાથી કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હોવાનો દાવો કર્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને એસપીજીના પ્રમુખ લાલજી પટેલ વચ્ચે સ્ટેજ પાછળ મુલાકાત થઇ હતી. જેમાં લાલજી પટેલે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રીને પ્રેમ લગ્ન અંગે કાયદો બનાવવા માટેની માગણી કરવામાં આવી હતી. લાલજી પટેલે દાવો કર્યો હતો કે અગાઉ મુખ્યમંત્રીએ પ્રેમલગ્ન અંગે કાયદો બનાવવાની બાંહેધરી આપી હતી. આ સ્નેહમિલનમાં આ કાયદો જલદી બને તેવી માગ કરવામાં આવી હતી. લાલજી પટેલે વધુમાં કહ્યું હતું કે અમે પ્રેમલગ્નના વિરોધી નથી પરંતુ નાની દીકરીઓને ભોળવીને પ્રેમલગ્ન કરીને તેનું જીવન બદબાદ કરવામાં આવે છે. તેના અમે વિરોધી છીએ. દરેક સમાજમાં આ દૂષણ છે ત્યારે તેને લઇને કાયદો બનાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.