જેતપુરમાં કારખાનેદાર પાસેથી ઉધારીમાં સાડી લઈ વેપારીએ 3 લાખનું બૂચ માર્યું
રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતા સાડીના કારખાનેદાર પાસેથી ઉધારીમાં પ્રીન્ટેડ સાડીનો જથ્થો મેળવી 3 લાખની રકમ નહીં આપી ઠગાઈ વિશ્ર્વાસઘાત કર્યાની બિહારના સીકંદરપુરના વેપારી સામે કારખાનેદારે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેનીજાણવા મળતી વિગત મુજબ જેતપુરના બાપુની વાડી ચિત્રકુટ બંગલામાં રહેતા વિનોદભાઈ વલ્લભભાઈ ઢાંકેચા ઉ.વ.52એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બિહારના મુઝાફરપુર જિલ્લાના સીકંદરપુર ગામના વેપારી રોનક બજાજનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બે વર્ષ પહેલા ફરિયાદીની આરોપી સાથે ઓળખાણ થયા બાદ તેની પાસેથી અવાર નવાર પ્રીન્ટેડ સાડીનો જથ્થો મગાવતો હતો છેલ્લે 2021માં આરોપીએ ફરિયાદી પાસેથી પ્રીન્ટેડ સાડીનો ઓર્ડર આપ્યો હતો જે પેટે ફરિયાદીએ 5.66.323ની પ્રીન્ટેડ સાડીનો જથ્થો આરોપીને ટ્રાન્સપોર્ટ મારફતે મોકલ્યો હતો. ત્યાર બાદ આરોપી દ્વારા કટકે કટકે 2.63.286 ફરિયાદીને ચુકવી દીધા હતા અને બાકી નિકળતા 3.03.037ની રકમની અવાર નવાર ઉઘરાણી કરવા જતા આજ દીન સુધી પૈસા નહીં ચુકવી ઠગાઈ-વિશ્ર્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસે કારખાનેદારની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા માટે પોલીસની એક ટીમ બીહાર તપાસ અર્થે જવા રવાના કરનાર હોવાનું જણાવ્યું છે. આ બનાવની તપાસ પીએસઆઈ એમ.કે. મનાત ચલાવી રહ્યા છે.