બાંધકામ વેસ્ટ જાહેરમાં ફેંકનાર બિલ્ડરો સામે થશે ફોજદારી કેસ
સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહાનગરપાલિકાએ શહેરભરમાંથી દરરોજ ટનમોઢે કચરો કાઢવાની કામગીરી હાથ ધરી છે. પરંતુ નદીકાંઠા તેમજ ખાલી પ્લોટ ઉપર બાંધકામનો કાટમાળ ઠલવાતો હોવાની અનેક ફરિયાદોના પગલે આજે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવેલ કે, બાંધકામ વેસ્ટ મનપાએ નિયત કરેલ જગ્યા ઉપર ઠલવવાની બિલ્ડરો તેમજ બાંધકામ કરનારની ફરજ બને છે. આથી હવે નાકરાવાડી સાઈટ ખાતે જગ્યા ફાળવવામાં આવી છે. જ્યાં બાંધકામ વેસ્ટ ઠલવવાનો રહેશે જો જાહેરમાંબાંધકામ વેસ્ટફેંકતા પકડાઈ જશે તો મહાનગરપાલિકા દદ્વારા બિલ્ડરો તેમજ બાંધકામ વેસ્ટના માલીક સામે ફોજદારી કેસ કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, પર્યાવરણ વિભાગ દ્વારા દિવસ-રાત શહેર સ્વચ્છ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પરંતુ બાંધકામ વેસ્ટના ખડકલા જ્યાં-ત્યાં જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને આજીનદીના કાંઠાવાળા વિસ્તાર તેમજ વોકળાઓ અને ખાલી પ્લોટ ઉપર બાંધકામ વેસ્ટ ફેંકીને વાહન ચાલકો નિકળી જાય છે. અનેક વખત મનપા દ્વારા આ પ્રકારના વાહનો ઝડપવામાં આવ્યા છે. છતાં બિલ્ડર હોય કે અન્ય બાંધકામ કરનાર હોય પોતાનો બાંધકામ વેસ્ટ મહાનગર પાલિકાએ નિયત કરેલ જગ્યા ઉપર ઠલવતા નથી આથી હવે શહેરની બહાર નાકરાવાડી ડંપ ખાતે બાંધકામ વેસ્ટ નાખવા માટેની જગ્યા ફાળવવામાં આવી છે. અને તમામ વાહન ચાલકોએ આ સ્થળે બાંધકામ વેસ્ટ ઠલવવાનો રહેશે. જો કોઈ વાહન બાંધકામ વેસ્ટ ઠલવતા પકડાઈ જશે તો આ વેસ્ટના માલીક વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવશે તેમજ શહેરમાં નજીકના સ્થળો ચેક કરવામાં આવી રહ્યાં છે. જ્યાં બાંધકામ વેસ્ટની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી નાકરાવાડી ખાતે જ વેસ્ટ નાખવાનો રહેશે.