કણકોટના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા બાઈકચાલકનું મોત
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર કણકોટના પાટિયા પાસે પુરવાટ ઝડપે આવતા ટ્રક ચાલકે રસ્તો ઓળંગતા બાઈક ચાલકનું ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક વિરડા વાજડીના આધેડ ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા ગંભીર ઈજા થયાની મોત નિપજ્યું છે. જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી નાશી છુટતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ વીરડા વાજડી ગામે ધરાનગરમાં ભાડાના મકાનમાં રહેતા નરેશભાઈ ગાગજીભાઈ ચૌહાણ (ઉ.વ.43) નામના આધેડ ગઈ કાલે સાંજે પોતાનું બાઈક લઈ જતા હતા ત્યારે કણકોટ ગામના પાટિયા પાસે રસ્તો ક્રોસ કરવા જતાં પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો જેમાં નરેશભાઈ રંગોળાઈને નીચે પટકાતા ટ્રકનું તેતીંગ વ્હીલ પગ અને કમરના ભાગે ફરી વળતા તેમને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેમનું મોત નિપજ્યું હતું.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઈ જે.જે. માઢક સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક નરેશભાઈને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે તાલુકા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.