આસિ.કલેક્ટર નિશાકુમારી ચૌધરીએ પ્રાંત અધિકારીનો ચાર્જ સંભાળ્યો
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તાજેતરમાં જ વહીવટી તંત્રમાં મોટાપાયે બદલીના ઘાણવા નીકળ્યા હતાં. જેમાં રાજકોટનાં પ્રાંત અધિકારી સંદીપ વર્મા સહિત એક ડઝન જેટલા આસી.કલેકટરોની બદલી કરવામાં આવી હતી. જ્યારે રાજકોટમાં પ્રોબેશન આઈએએસ અધિકારીની પ્રાંત અધિકારી તરીકે નિમણૂંક કરતો હુકમ કરવામાં આવ્યો હતો. જેના પગલે આજે આઈએએસ અધિકારી નિશાકુમારી ચૌધરીએ હાજર થઈ પ્રાંત અધિકારીનો ચાર્જ સંભાળી લીધો હતો.લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કર્યા હતાં. જેમાં રાજકોટનાં પ્રાંત અધિકારી સંદીપકુમાર વર્માની મોરબી જિલ્લા પુરવઠ્ા અધિકારી તરીકે બદલી કરવામાં આવી હતી. જ્યારે તેમના સ્થાને આઈએએસ અધિકારી નિશાકુમારી ચૌધરીની નિમણૂંક કરાઈ હતી. 2021ની બેંચના આઈએએસ અધિકારી નિશાકુમારી ચૌધરી મુળ રાજસ્થાનના વતની છે અને તેઓએ આઈએએસની બેંચમાં 117મો રેન્ક મેળવ્યો હતો. સૌ પ્રથમ તેમનું વલસાડ ખાતે પોસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં ટ્રેનીંગ પીરીયડ પુરો થયા બાદ તેમની રાજકોટ પ્રાંત અધિકારી-2 તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
આઈએએસ અધિકારી નિશાકુમારી ચૌધરીએ આજે જિલ્લા કલેકટર પ્રભવ જોષી સમક્ષ હાજર થયા બાદ તેઓ જુની કલેકટર કચેરી ખાતે આવેલી પોતાની ઓફિસે વિધીવત ચાર્જ સંભાળ્યો હતો.