જેતપુરમાં ભાદરના પુલ પરથી ગબડેલા બીજા યુવાનનું પણ મોત
જેતપુરમાં ભાદર પુલ પરથી ભાગવા જતાં નીચે ગબડેલા બે પરપ્રાંતીય મજુરોમાંથી એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનું આજે રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
સાડી કારખાનામાં મજુરી કામ કરતા અને ભાદર સામાકાંઠા વિસ્તારમાં રહેતા બે પરપ્રાંતીય યુવાનો થાનારામ ભીલ અને દેવારામ ભીલ નશાખોર હાલતમાં ભાદર પુલ પરનાં રેલવેના પાટા પર ચાલવા માંડયા હતા.
આવા સમયે ટ્રેન આવી જતા બન્ને ભાગવા જતા બન્ને કૌટુંબીક ભાઇઓ ભાદર પુલ પરથી નીચે પટકાયા હતા. આ સમયે થાનારામનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે ગંભીર ઇજાગ્રસ્ત દેવારામ ભીલને ત્રણ ચાર દિવસથી અહીંની સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો જેનું આજે મૃત્યુ થયું હતું.
મૃતક દેવારામ મુળ રાજસ્થાનનો અને ત્રણ ભાઇઓમાં મોટો હતો. 10 વર્ષ પહેલા પત્ની મુકીને ચાલી જતા એકલો હતો. હોસ્પીટલ ચોકીની જાણ પરથી જેતપુર ઉદ્યોગનગર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.