મનપાના ચેરમેનોની ઓફિસોમાં રંગરોગાન કરી લાખો રૂપિયાનો વ્યર્થ ખર્ચનો કરાયો આક્ષેપ
લોક સંસદ વિચાર મંચના મોભી અને વોર્ડ નંબર ત્રણના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, સિનિયર સિટીઝન પ્રવીણભાઈ લાખાણી, મહિલા સામાજિક અગ્રણી સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકામાં 15 કમિટી ચેરમેનનોની ઓફિસોમાં કલર કામ અને ફર્નિચરમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે પ્રજાના નાણાનો ધુમાડો થતું હોય એવું સ્પષ્ટ જણાય છે કમિટી ચેરમેનોની મોટાભાગની ઓફિસોને અલીગઢી તાળા હોય છે. કોઈ ચેરમેનો શહેરની પ્રજાને સમયસર મળતા ન હોવા છતાં આ પ્રકારનો ખર્ચ એ બિનજરૂૂરી અને આવશ્યક ન હોવાનું લોક સંસદ વિચાર મંચનું માનવું છે.
તાજેતરમાં શાસકો દ્વારા હિરાસર એરપોર્ટમાં અધધધ 11.46 કરોડનો ખર્ચાઓ લોકાર્પણ માટે કરવામાં આવેલ છે જો કે આ ખર્ચામાં પોલીસ બંદોબસ્ત નો ખર્ચ તથા અન્ય ખર્ચ ઉમેરવામાં આવેલ ન હોવા છતાં આ પ્રકારનો લોકાર્પણમાં જ 11.46 કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે તે પણ તપાસનો વિષય છે.
તાજેતરમાં કરકસરના નામે મોંઘા ભાવનું ઈંધણ ન વપરાય તે માટે દર સોમવારે અધિકારીઓ અને મેયર અને પદાધિકારીઓ પ્રજાના ખર્ચે મળેલી ગાડીઓ વાપરશે નહીં અને પોતાના વાહનોમાં આવશે એવી જાહેરાત સાથે કરકસરની વાતો કરી હતી અને અન્ય પણ સાદગી અને કરકસરની વાતો થાય છે ફક્ત વાતો થાય છે શાસક પક્ષ તેના તમામ પદાધિકારીઓ, પક્ષના હોદ્દેદારો, કાર્યકરોને નિયમિત રીતે માનવતા, સાદગી, સારા સંસ્કાર, નિ:સ્વાર્થ સેવા, યોગ અને સારા વાંચનની તાલીમ આપે તમામ પ્રકારના વહીવટ ઓછા ખર્ચે કેમ થાય તેનું મનન અને ચિંતન કરે અને પ્રજાના નાણાનો ધુમાડો કરવાનું બંધ કરે. સ્પષ્ટ બહુમતીથી ચૂંટાયેલી મહાનગરપાલિકાની બોડી પરસેવાની કમાણીનો કેવો દુરુપયોગ કરે છે તે જોવા રાજકોટ મહાનગરપાલિકાની કચેરીની અવશ્ય મુલાકાત લેવા લોક સંસદવિચાર મંચનો અનુરોધ છે.