પથારીવસ પિતાના આધાર સ્થભ કંધોતરનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટમાં હાર્ટ એટેકે ઉપાડો લીધો હોય તેમ હદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ એક ઘટનામાં પથારીવસ પિતાના આધાર સ્થંભ કંધોતર અને ત્રણ બહેનોના એકના એક ભાઈનું હૃદય રોગના હુમલાથી મોત નીપજતા પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રૈયા રોડ ઉપર હનુમાન મઢી પાસે શિવપુરા વિસ્તારમાં આવેલી 20 ઓરડીમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અસલમભાઈ હુસેનભાઇ શેખ નામના 43 વર્ષના પ્રૌઢ રાત્રીના પોતાના ઘરે હતા ત્યારે દસેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા પ્રૌઢને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી અસલમભાઈ શેખનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક અસલમભાઈ શેખ ત્રણ બહેનોના એકના એક ભાઈ હતા અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે અસલમભાઈની માતા હાલ હયાત નથી અને પથારીવસ પિતાના આધાર સ્થંભ એકના એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.