મહિના પૂર્વે જ પરણેલી નવોઢાનો માવતરે ઝેરી દવા પી આપઘાત
શહેરના સામાકાંઠે માવતર ધરાવતી અને એક મહિના પૂર્વે જ પરણેલી નવોઢાએ માવતરના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પતિને મિત્રના પ્રસંગમાં જવાનું હોવાથી પત્નીને માવતરે મુકી ગયા બાદ આ પગલું ભરી લીધું હતું. આ અંગે પોલીસે આપઘાતનું કાર જાણવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ કોટડાસાંગાણી સાસરુ ધરાવતી નવોઢા હિરલ જયદીપભાઈ પાટડીયા (ઉ.24)એ ગઈકાલે સાંજે સંતકબીર રોડ પર નંદુબાગ સોસાયટીમાં માવતરે હતી ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો હતો.
આ અંગે સિવિલ હોસ્પિટલનાં સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી-ડીવીઝન પોલીસને જાણ કરતાં એએસઆઈ નરેન્દ્રભાઈ ભદ્રેચા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક હિરલના લગ્ન એક મહિના પહેલા જ થયા હતાં. તેનો પતિ જયદીપ હિતેશભાઈ પાટડીયા રાજકોટમાં એચ.જે.સ્ટીલ કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
ગઈકાલે પતિને તેના મિત્રના પ્રસંગમાં જવાનું હોવાથી તે હિરલને માવતરે મુકી ગયો હતો ત્યારબાદ હિરલે આ પગલું ભરી લીધું હતું. તેણે આપઘાત શા માટે કર્યો ? તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ યથાવત રાખી છે. આ બનાવથી પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ જવા પામી હતી.