કાકાના ઘરે બેસવા ગયેલા સિવિલ હોસ્પિટલના કર્મચારીનું હાર્ટએટેકથી મોત
રાજકોટમાં હાર્ટ એટેકે ઉપાડો લીધો હોય તેમ હદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર ઇ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા આધેડ હનુમાન મઢી ચોક પાસે આવેલા મફતિયાપરામાં રહેતા કાકાના ઘરે બેસવા માટે ગયા હતા ત્યારે અચાનક હદય રોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું આધેડના મોતથી પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગૌતમનગરમાં રહેતા મનોજભાઈ જશવંતભાઈ વાગડિયા નામના 54 વર્ષના આધેડ હનુમાન મઢી ચોક પાસે આવેલા મફતિયાપરામાં રહેતા તેના કાકા ભીખાભાઈના ઘરે હતા ત્યારે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં મનોજભાઈ વાગડિયાને અચાનક હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા આધેડને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કાલગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હદય રોગના હુમલાથી મોત નિપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક મનોજભાઈ વાગડિયા બે ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે મનોજભાઈ વાગડિયા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે નિ:શુલ્ક ચાલતી ઇ-રિક્ષામાં કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કામ કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા મનોજભાઈ વાગડિયા રાત્રીના તેના કાકા ભીખાભાઈના ઘરે બેસવા માટે ગયા હતા ત્યારે અચાનક આવેલો હદય રોગનો હુમલો જીવલેણ નિવડ્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવા અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.