4 વર્ષના બાળકને ડાઘિયાઓએ બચકાં ભર્યાં
શહેરમાં છેલ્લા ઘણા સમયથી શ્ર્વાનનો ત્રાસ યથાવત છે થોડા સમય પહેલા જ જંગલેશ્ર્વરમાં ચાલીને ઘરે જઈ રહેલી ચાર વર્ષની બાળકી પર 10 જેટલા ડાઘીયા જેટલા કૂતારાઓએ હુમલો કરી ફાડી ખાધી જેમાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું. ત્યારબાદ લતાવાસીઓએ મનપા વિરૂધ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતાં. તેમજ જંગલેશ્ર્વરના લોકો દ્વારા જ કૂતરાઓને પકડી લઈ અન્ય સ્થળે મુકી આવ્યા હતાં અને ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા જંગલેશ્ર્વરમાં પહોંચી કૂતરાઓને પકડયા હતાં.
ત્યારે વધૂ એક વખત કૂતરાઓનો ત્રાસ સામે આવ્યો છે. જેમાં માતા સાથે સ્કૂલેથી પરત ઘરે ફરી રહેલા ચાર વર્ષના બાળક પર ચાર ડાઘીયા કૂતરાઓએ હુમલો કરી શરીરે બટકા ભરી લેતાં બાળકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. વધુ વિગતો મુજબ, કોઠારીયા રોડ પર શ્રીરામ પાર્ક મેઈન રોડ પંચરત્ન હિલમાં રહેતા નિરંજન નવિનભાઈ નેપાળી નામનો ચાર વર્ષનો બાળક આજે બપોરના સમયે તેમના માતા ઉર્મિલાબેન સાથે સ્કૂલેથી પરત ઘરે ફરતો હતો ત્યારે રસ્તામાં તેમને ચાર ડાઘીયા કૂતરાઓએ ઘેરી લીધો હતો અને શરીર પર બટકા ભરી લીધા હતાં. જેથી દેકારો થઈ જતાં આજુબાજુનાં લોકો ત્યાં દોડી આવ્યા હતાં અને કૂતરાઓને ભગાડયા હતાં. ત્યારબાદ બાળકને તૂરત સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
બાળકના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેમજ પોતે 1લું ધોરણ ભણે છે. માતાએ જણાવ્યું હતું કે દરરોજના નિત્ય ક્રમ મુજબ કોઠારીયા રોડ પર આવેલી સ્કૂલેથી પોતાના બાળક નિરંજનને આજે બપોરે લેવા ગઈ હતી ત્યાંથી બન્ને પરત ફરતાં હતાં. બાળક તેની પાછળ પાછળ ચાલતો હતો ત્યારે માતા આગળ નીકળી જતાં બાળકને ચાર કૂતરાએ ઘેરી લઈ તેમને શરીરે બટકા ભરી લીધા હતાં. માસુમ બાળક પર કૂતરાઓએ હુમલો કરી બટકા ભરી લેતાં કોઠારીયા વિસ્તારનાં લોકોમાં રોષ ફેલાયો હતો અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે કોઠારીયા રોડ પર અલગ અલગ સોસાયટીઓમાં કૂતરાઓનો ત્રાસ છે જેમાં રાત્રે કોઈ વ્યક્તિ વાહન લઈને નીકળે ત્યારે તેની પાછળ દોડતાં હોય તેથી કેટલીક વાર અકસ્માત પણ સર્જાય છે અને સવારે વોકીંગ પર નીકળતાં લોકોની પાછળ પણ કૂતરાઓ દોડે છે જેથી કૂતરાઓને પકડી અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી ત્યાના લોકોની માંગ ઉઠી રહી છે.