જેતપુરના ખીરસરા ગામની સીમમાંથી 10 વર્ષની આદિવાસી બાળાનું અપહરણ
રાજકોટ જિલ્લામાંથી સગીર બાળાઓના અપહરણની ઘટનાઓ દિવસને દિવસે વધી રહી છે ત્યારે જેતપુર પંથકમાં ખેત મજુરી કામે આવેલા મધ્યપ્રદેશનાં આદિવાસી પરિવારની 10 વર્ષની બાળકીને 15 દિવસ પહેલા આદિવાસી યુવાન લલચાવી ફોસલાવી ભગાડી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના જાબુંવા જિલ્લાના રાણાપુર તાલુકાના કંજીયાવાડી ગામના વતનીએ જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જાબુંવા જિલ્લાના રાણાપુર તાલુકાના ખુંટીયા ગામના હિતેશ નારણ પરમારનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી પોતાના પરિવાર સાથે જેતપુરના ખીરસરા ગામે ખેત મજુરી કામ કરે છે ગત તા.20-11-23ના રાત્રિના પરિવારજનો ઝુંપડામાં સુઈ ગયા હતાં અને સવારે જાગીને જોયું તો 10 વર્ષની પુત્રી જોવા મળી ન હતી. આ બાબતે તપાસ કરતાં વહેલી સવારે 10 વર્ષની બાળકી કુદરતી હાજતે જવાનું કહી ઝુંપડામાંથી નીકળી ગઈ હતી.
ત્યારબાદ તપાસ કરાવતા ખીરસરા ગામની સીમમાં ખેતમજુરી કામ કરતો જાબુંવા જિલ્લાનો વતની હિતેશ નારણ પરમાર પણ લાપત્તા હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે તપાસ કરાવતાં હિતેશ પરમાર જ 10 વર્ષની બાળકીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
15 દિવસ સુધી આ બાબતે તપાસ કરાવ્યા બાદ સગીર બાળા કે આરોપીનીે કોઈ પત્તો નહીં લાગતાં અંતે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.