યાર્ડમાં ડુંગળીની 65,000 મણ આવક, સપ્તાહમાં રૂપિયા 200નું ગાબડું પડ્યું
દિવાળીના તહેવાર બાદ રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં વિવિધ જણસોની આવક વધવા લાગી છે. ત્યારે કેટલીક જણસોના સારા ભાવ મળી રહ્યા છે તો કેટલીક જણસોના ભાવમાં ગાબડુ પડયું છે. ડુંગળીએ તાજેતરમાં જ સામાન્ય પ્રજાને રડાવ્યાં હતા જ્યારે છેલ્લા એક સપ્તાહમાં રૂ.200નો પ્રતિ 20 કિલોએ ભાવ ગગડયો છે.
રાજકોટ યાર્ડમાં આજે કપાસની 29,000 મણ, મગફળીની 48,800 મણ લસણની 10,000 મણ અને ડુંગળીની 65,000 મણ આવક થઇ હતી. જેમાં મગફળીના પ્રતિમણ રૂ.1100થી રૂ.1415માં, કપાસના રૂ.1280થી રૂ.1500 અને લસણના રૂ.2050થી રૂ.3650 સુધીની ભાવ બોલાયા હતા. લસણમાં છેલ્લા બે દિવસમાં પ્રતિમણે રૂ.200 વધ્યા હતા જ્યારે મગફળીમાં પણ સ્થિર રહ્યા હતા અને કપાસમાં વધુ ફરક પડયો નથી.
વરસાદની આગાહી અને સુકી ડુંગળીની સતત આવક વધતા સૂકી ડુંગળીની આવક છેલ્લા બે દિવસથી બંધ કરવામાં આવી હતી. જ્યારે આજે ફરીથી આવક શરૂ કરાતાં 65,000 મણ ડુંગળી ઠલવાઇ હતી અને ભાવમાં પણ રૂ.150થી 200 સુધીનું ગાબડું પડયું હતું. સપ્તાહ પહેલા પ્રતિમણ ડુંગળીના ભાવ રૂ.800 સુધી બોલાયા હતી જ્યારે આજે પ્રતિમણ ડુંગળીનો રૂ.600માં સોદા થયા હતા. માત્ર સપ્તાહમાં જ ભાવમાં ઘટાડો આવતા ખેડુતો પણ મૂંઝવણમાં મૂકાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યાર્ડમાં શાકભાજી સહિત સૂકી ડુંગળીની આવક પણ વધી છે અને ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે તેનો ફાયદો માત્ર વેપારીઓ અને છુટક વેપાર કરતા ધંધાર્થીઓને થઇ રહયો છે. જ્યારે સામાન્ય પ્રજાને તેનો ફાયદો મળી રહ્યો નથીઅને સ્થાનિક બજારમાં શાકભાજી, ડુંગળી જૂના ભડકા થયેલા ભાવેજ વહેંચાઇ રહી છે. હાલ માવઠાની આગા હોવાથી ખેડુતોને પોતાની જણસી ઠાંકીને લઇ આવવા સુચના આપવામાં આવી છે.