બેડી ગામે 100 વાડા રેગ્યુલરાઇઝ કરાશે, પ્રાંત અધિકારીએ મગાવ્યો રિપોર્ટ
રાજકોટ શહેરની ભાગોળે આવેલ વિસ્તારોમાં જમીનનો ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે આઝાદી પહેલા ખેડૂતો દ્વારા ગામના પાદરમાં જણાસો, ખાતર, નિણ સહિતની વસ્તુઓ રાખવા માટે વાડાઓ બનાવ્યા છે ત્યારે આ વડાની જમીન રેગ્યુલાઈઝ કરવા માટે બેડી ગામના ગ્રામજનો દ્વારા અનેક વખત કલેકટર સમક્ષ રજૂઆત કરાયા બાદ અંતે પ્રાંત અધિકારીએ બેડી ગામે 100 જેટલા વાડા રેગ્યુલાઈઝ કરવા માટે રિપોર્ટ મંગાવ્યો છે. જેના આધારે હુકમ કરવામાં આવશે.
રાજકોટ શહેરની ભાગોળે આવેલ બેડી ગામે વર્ષોથી ગ્રામજનો દ્વારા પાદરમાં ઢોર બાંધવા માટે, નીણ રાખવા માટે વાડા બનાવ્યા લીધા છે. જે વાડા રેગ્યુલાઈઝ કરી આપવા માટે ગ્રામજનો અને ખેડૂતો દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
છેલ્લા થોડા સમયથી બેડી ગામની આજુબાજુમાં જમીનના ભાવ બમણા થઈ જતાં 100 જેટલા વાડાની જમીન પણ કિંમતી થઈ ગઈ છે ત્યારે આ મુદ્દે તાકીદે નિવેડો લાવવા માટે ગ્રામજનો દ્વારા કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી. જેના પગલે નવનિયુકત પ્રાંત અધિકારી નિશાકુમારી ચૌધરીએ આ મુદ્દે હાથ પર લઈ બેડી ગામના ખેડૂતોના પડતર પ્રશ્ર્નો ઉકેલવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
બેડી ગામના 100 જેટલા ખેડૂતોને 100 થી 200 મીટરના વાડાની જમીન રેગ્યુલાઈઝ કરવા માટે તાલુકા મામલતદારને સ્થળ તપાસ કરવા અને તાકીદે રિપોર્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે ટૂંક સમયમાં રિપોર્ટ મળ્યા બાદ બેડી ગામના ખેડૂતોને વાડાની જમીન ફાળવી દેવામાં આવશે.