સૌરાષ્ટ્રના 21 ડેમોમાં નવાં નીર: પાંચ ઓવરફ્લો
આજી-2, ભાદર-2, મચ્છુ-3, બ્રાહ્મણી-2 અને વાંસલ ડેમના દરવાજા 1થી 3 ફૂટ ખોલાયા, હેઠવાસના ગામોને સાવચેત કરાયા
સૌરાષ્ટ્ર-કચ્છમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે 21 ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે. સિંચાઈ વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા છ દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે 21 ડેમોમાં નોંધપાત્ર પાણીની આવક થઈ છે. જ્યારે પાંચ ડેમ ઓવરફ્લો થતાં ડેમના પાટિયા 1 થી 3 ફૂટ કોલવામાં આવ્યા છે. અને હેઠવાસના ગામોને સાવચેત કરાયા છે. હજુ પણ અનેક ડેમોમાં નવા નીરની આવક ચાલુ હોવાથી આગામી દિવસોમાં વધુ ડેમ ઓવરફ્લો થવાની શક્યતા જોવાઈ રહી છે.
સૌરાષ્ટ્રમાં વરસેલા ભારે વરસાદના પગલે 21 ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે. જેમાં ભાદર-1 0.52, ફોફળ 0.23, વેણુ-2 1.31, આજી-3 1.84, સોળવદર 2.62, ન્યારી-2 0.33, ભાદર-2 0.16, ઘેલો સોમનાથ 0.10, મચ્છુ-2, 0.75, ડેમી-2 0.98, ઘોડાધ્રોઈ 1.31, બંગાવડી 0.66, ડાયમીનસર 2.62, આજી-4 0.29, વર્તુ-2 4.42, સેઢા ભાડથરી 0.33, વેરાડી-1 0.82, કાબરકા 2.46, વેરાડી-2 12.47, સોરઠી 0.35 અને સાકરોલી ડેમમાં 0.69 ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે. જ્યારે મચ્છુ-3 ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો બે ફુટ ખોલવામાં આવ્યો છે. તથા વાંસલ ડેમ અડધા ફૂટે ઓવરફ્લો થતાં બે દરવાજા ખોલવામાં આવ્યા છે. અને આજી-2 ડેમ અડધા ફૂટે ઓવરફ્લો થતાં એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે. જ્યારે ભાદર-2, બ્રહ્મણી-2 ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવતા હેઠવાસના ગામોને નદીના પટ્ટમાં ન જવાની સુચના આપવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘ વિરામ રહ્યો છે. મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં સાડા 27 ઈંચ (686 મી.મી.), દ્વારકા તાલુકામાં 13 ઈંચ (328 મી.મી.), કલ્યાણપુર તાલુકામાં 13 ઈંચ (322 મી.મી.) અને ભાણવડ તાલુકામાં 9 ઈંચ (222 મી.મી.) કુલ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 50.68 ટકા વરસી ચુક્યો છે. આજે પણ સવારથી મેઘરાજા વિરામ વચ્ચે થોડો સમય સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા.ખંભાળિયા શહેરને પીવાનું તેમજ આસપાસના વાડી વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પૂરું પાડતા 20 ફૂટ ઊંડાઈ ના ઘી ડેમમાં છેલ્લા બે દિવસ દરમિયાન સાડા ચાર ફૂટ નવા પાણીની આવક થવા પામી છે. આ સાથે ઘી ડેમની સપાટી છ ફૂટ ઉપર પહોંચી છે. હાલ ડેમમાં છ માસ ચાલે તેટલું પાણીનો જથ્થો સંગ્રહિત થઈ ગયો છે. આ ઉપરાંત ખંભાળિયાના બીજા મહત્વના એવા સિંહણ ડેમની ત્રણ ફૂટની સપાટીમાં બીજા સાડા પાંચ ફૂટ નવા પાણીની આવક સાથે કુલ સપાટી સાડા આઠ ફૂટ સુધી પહોંચી જવા પામી છે. સિંહણ ડેમની કુલ ઊંડાઈ 22 ફૂટની છે. મોટા અને મહત્વના જળ સ્ત્રોતોમાં નવા નીરની ધીંગી આવક થતાં ગ્રામજનો સાથે શહેરીજનો પણ ખુશ ખુશાલ છે.