કોઇ નેતા સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ ધર્મ-સમુદાયનું અપમાન ન ગણાય: બોમ્બે હાઈકોર્ટ
બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે લાતુરના એક ઉદ્યોગપતિ સામે નોંધાયેલી ફરિયાદ રદ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, બારમાં દારૂૂ પીધેલી હાલતમાં થયેલી બોલાચાલી દરમિયાન સામાજિક-રાજકીય નેતા સાથે દુર્વ્યવહાર કરવો એ ભારતીય દંડ સંહિતા (ઈંઙઈ)ની કલમ 295અ અથવા 504 હેઠળ ગુનો નથી. આ ઉપરાંત હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે સામાજિક-રાજકીય મહાનુભવ માટે કોઈ પણ દુર્વ્યવહાર અથવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કોઈ ધર્મના અપમાન સમાન ન હોઈ શકે.
ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 295અ એવા કેસોમાં લાગુ પડે છે, જ્યાં કોઈપણ સમુદાયની ધાર્મિક લાગણીઓને જાણી જોઈને અને દ્વેષપૂર્ણ રીતે ઠેસ પહોંચાડવામાં આવી હોય. બીજી તરફ કલમ 504 એવી પરિસ્થિતિઓનો સામનો કરે છે જ્યાં કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક અન્ય વ્યક્તિનું અપમાન કરે છે જેથી તે અન્ય વ્યક્તિને ગુનો કરવા માટે ઉશ્કેરે અથવા જાહેર શાંતિનો ભંગ કરે.
અહેવાલો અનુસાર, આ કેસ 12મી ડિસેમ્બર 2023ના રોજ કિલારીના કિનારા બારમાં બનેલી ઘટના પર છે. લાતુરના ઔસા તાલુકાના એક વેપારી પર દારૂૂ પીધેલી હાલતમાં વેઈટર સાથે ગેરવર્તન કરવાનો અને મરાઠા અનામત આંદોલન સાથે સંકળાયેલા કાર્યકર મનોજ જરાંગે વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.
ફરિયાદીએ દાવો કર્યો હતો કે આ શબ્દોથી મરાઠા સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાય છે. તેમણે ઘટનાનું મોબાઇલ રેકોર્ડિંગ પણ રજૂ કર્યું. ત્યારબાદ પોલીસે કિલારી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 295અ (ધાર્મિક લાગણીઓ દુભાવવી) અને 504 (શાંતિનો ભંગ કરવાના ઇરાદાથી ઇરાદાપૂર્વક અપમાન) હેઠળ કેસ નોંધ્યો હતો.
ઉદ્યોગપતિનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ આઈડી મણિયારે કોર્ટમાં દલીલ કરી હતી કે કથિત ટિપ્પણી કોઈ ધર્મ કે ધાર્મિક માન્યતા પર નહીં, પરંતુ એક વ્યક્તિ પર હતી. એફઆઇઆરમાં જ જણાવાયું છે કે ઉદ્યોગપતિએ કથિત ઘટના માટે ફરિયાદીની તાત્કાલિક માફી માંગી હતી.