નવા એરકન્ડિશનર્સનું લઘુત્તમ તાપમાન 20 અને મહત્તમ 28 ડિગ્રી સુનિશ્ર્ચિત કરાશે
કેન્દ્રીય ઊર્જા અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારત હવે ઘરો, ઓફિસો અને વાહનોમાં નવા એર-કન્ડિશનર્સ (AC) માટે મહત્તમ અને લઘુત્તમ તાપમાનનું નિયમન કરવાની યોજના બનાવી રહ્યું છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય બિનજરૂૂરી ઊર્જા વપરાશ ઘટાડવાનો છે. મંત્રીએ 30 GWh બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ્સ માટે રૂૂ. 5,400 કરોડના વાયબિલિટી ગેપ ફંડ (VGF) સપોર્ટની પણ જાહેરાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, તમામ નવા એર-કન્ડિશનર્સ માટે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 28 ડિગ્રી સેલ્સિયસ નક્કી કરવા માટે વિચારણા ચાલી રહી છે.
કેન્દ્રીય ઊર્જા સચિવ પંકજ અગ્રવાલે આ નિર્ણય પાછળનો તર્ક સમજાવતા કહ્યું કે, દેશમાં હાલમાં 10 કરોડ એર-કન્ડિશનર્સ (AC) કાર્યરત છે અને દર વર્ષે આ સંખ્યામાં લગભગ 1.5 કરોડ નવા AC ઉમેરાય છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ACના તાપમાનમાં માત્ર એક ડિગ્રીનો ઘટાડો કરવાથી ઊર્જા વપરાશમાં 6% નો વધારો થાય છે. ખટ્ટરે સ્પષ્ટપણે જણાવ્યું કે, નવા એર-કન્ડિશનર્સ 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 28 ડિગ્રી સેલ્સિયસથી ઉપર તાપમાન સેટ કરવાની મંજૂરી આપશે નહીં.
મોદી સરકારના 11 વર્ષના શાસનની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા મંત્રીએ કહ્યું કે, ભારત ઊર્જા સરપ્લસ (વધારાની ઊર્જા) બનવાના માર્ગે છે. ખટ્ટરે જણાવ્યું કે, 9 જૂને પીક પાવર ડિમાન્ડ 241 GW (ગીગાવોટ) હતી. કોઈ ઉણપ નહોતી. અમે આ વર્ષે 270 GW ની પીક પાવર ડિમાન્ડને પહોંચી વળવા માટે તૈયાર છીએ.
ભારતે 2024-25 દરમિયાન 34 GW ની અત્યાર સુધીની સૌથી વધુ ઉત્પાદન ક્ષમતા ઉમેરી છે, જેમાં નવીનીકરણીય ઊર્જાનો ફાળો 29.5 GW રહ્યો છે. દેશની કુલ સ્થાપિત ક્ષમતા હવે 472.5 GW પર પહોંચી ગઈ છે, જે 2014 માં 249 GW હતી.