શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા: સુખદેવ સિંહ ગોગામેડીને તેમના ઘરમાં ઘૂસીને બદમાશોએ મારી ગોળી, લોરેન્સ ગેંગે આપી હતી ધમકી
રાજસ્થાનના જયપુરમાં ગુનેગારોએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી હતી. બદમાશોએ સુખદેવ સિંહના ગનરને પણ ગોળી મારી હતી. જોકે, બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ સુખદેવસિંહ ગોગામેડીને મૃત જાહેર કર્યા હતા. દરમિયાન ઘટનાને અંજામ આપીને બદમાશો ફરાર થયાં હતા. આ ઘટનાની જન થતાં જ શ્યામ નગર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આ ઘટના શ્યામ નગરમાં બની હતી. મળતી માહિતી મુજબ, સુખદેવ સિંહ ગોગામેડી પોતાના ઘરે હતા ત્યારે અજાણ્યા બદમાશોએ ઘરમાં ઘૂસીને ગોળી મારી દીધી હતી. આ દરમિયાન બદમાશોએ હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસે ગુનેગારોની શોધખોળ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે લૉરેન્સ વિશ્નોઈ ગેંગના ગુનેગાર સંપત નેહરાએ અગાઉ સુખદેવ સિંહને ધમકી આપી હતી. ધમકી મળ્યા બાદ સુખદેવ સિંહે જયપુર પોલીસને લેખિત ફરિયાદ પણ કરી હતી.
બદમાશો બે સ્કૂટર પર સવાર થઈને આવ્યા હતા. તેમની સંખ્યા ચાર હોવાનું કહેવાય છે.પોલીસના જણાવ્યા અનુસાર, સુખદેવ સિંહ ગોગામેડી આજે બપોરે લગભગ 1:45 વાગ્યે શ્યામ નગર જનપથ પર તેમના ઘરની બહાર ઉભા હતા. ત્યારબાદ બદમાશોએ તેમના પર ગોળીબાર કર્યો.ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. તે જ સમયે, મેટ્રો માસ હોસ્પિટલની બહાર કરણી સેનાના કાર્યકરોની ભીડ એકઠી થઈ ગઈ છે.
એક અધિકારીએ જણાવ્યું કે પોલીસની એક ટીમ હોસ્પિટલ પહોંચી ગઈ છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પોલીસે નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી છે. બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં સંડોવાયેલા તમામ ગુનેગારોની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે.