રાજીવ ગાંધીના હત્યારા સંથનનું રાજીવ ગાંધી હોસ્પિટલમાં જ મોત
- લીવર ફેઇલ થઇ જતાં સારવાર દરમિયાન દમ તોડયો
રાજીવ ગાંધીના હત્યારા સંથનનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ જાણકારી હોસ્પિટલ પ્રશાસન દ્વારા આપવામાં આવી છે. રસપ્રદ તથ્ય એ છે કે સંથનનું મૃત્યુ પૂર્વ પીએમ રાજીવ ગાંધીના નામ પર આવેલી ચેન્નાઈની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું, જેમની તેણે હત્યા કરી હતી. રાજીવના કિલર સંથનને કોર્ટે હત્યાના કેસમાં દોષિત ઠેરવ્યો હતો, પરંતુ બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો. 55 વર્ષીય સંથનને જાન્યુઆરીમાં લીવર ફેલ થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ અન્ય કેટલીક બીમારીઓથી પીડિત હતા.
હોસ્પિટલના ડીન ડો. ઇ થેરાનીરાજને જણાવ્યું હતું કે સંથાનને દાખલ કરવામાં આવ્યા ત્યારથી તેની સ્થિતિ નાજુક હતી. આ પછી, તેમની બિમારીના કારણે, બુધવારે સવારે તેમને હૃદયરોગનો હુમલો થયો, જેના કારણે તેમનું મૃત્યુ થયું. તેણે કહ્યું કે કાર્ડિયાક અરેસ્ટ પછી, શરૂૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે તે સ્વસ્થ થઈ જશે, પરંતુ તેને બચાવી શકાયો નહીં. રાજીવ ગાંધી હત્યા કેસમાં સંથાનને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી, જે બાદમાં આજીવન કેદમાં ફેરવાઈ હતી. આટલું જ નહીં નવેમ્બર 2022માં જ સંથાન સહિત અન્ય 5 હત્યારાઓને પણ મુક્ત કરવામાં આવ્યા હતા. આ તમામ લોકોએ લગભગ 32 વર્ષની જેલની સજા ભોગવી હતી.
મુક્ત થયા બાદ પણ આ લોકોને ત્રિચી સેન્ટ્રલ જેલના સ્પેશિયલ કેમ્પસમાં રાખવામાં આવ્યા હતા. તેનું કારણ એ હતું કે તેઓ મૂળ શ્રીલંકાના નાગરિક હતા અને તેમની પાસે ન તો પાસપોર્ટ હતો કે ન તો મુસાફરીના દસ્તાવેજો. સંથને મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે તેને શ્રીલંકા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે કારણ કે તે તેની વૃદ્ધ માતાને મળવા માંગતો હતો. જો કે, આ અંગે કોઈ નિર્ણય લેવાય તે પહેલા જ સંથનનું લાંબી માંદગી બાદ મૃત્યુ થયું હતું.