સિદ્ધપુરની જામા મસ્જિદને રુદ્ર મહાલય જાહેર કરવા કોર્ટમાં અરજી
10 સદીના સોલંકી યુગમાં ત્યાં રૂદ્ર મહાદેવનું મંદિર હોવાનો દાવો
ઉતર ગુજરાતના સિધ્ધપુરમાં આવેલ જામા મસ્જીદને સોલંકી યુગનું મંદિર ગણીને રૂદ્ર મહેલ તરીકે જાહેર કરવા લોકલ કોર્ટમાં અરજી કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલમાં આ મસ્જીદ ખાતે નમાજ પણ અટકાવવાની માંગણી કરવામાં આવી છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ક્ષત્રીય શક્તિપીઠ વિકાસ ટ્રસ્ટના અજયપ્રતાપ સિંઘ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે જેમાં દાવો કરાયો છે કે આ જગ્યાએ મંદિર હતું તે 10મી સદીમાં સોલંકી કુળ દ્વારા બાંધવામાં આવ્યું હતું.
ઇ.સ.1297માં અલાઉદીન ખીલજીના શાસન દરમ્યાન આ મંદિર પર પહેલો હુમલો થયો હતો અને બાદમાં અમદાવાદના સ્થાપક સુલતાન અહમદ શાહે 15 સદી નજીક આ મંદિર પર હુમલો કરીને મંદિરનો નાશ કર્યો હતો. બાદમાં આ જગ્યાએ મસ્જીદ ચાલુ કરી દેવામાં આવી હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હાલની જામા મસ્જીદ જુના રૂદ્ર મહાલય મંદિરના ગર્ભગૃહ પર ઉભું કરવામાં આવ્યું છે અને આ આખુ બાંધકામ પ્રાણપ્રતિષ્ઠીત રૂદ્ર મહાલય મંદિર છે.
આ અરજીમાં માંગણી કરવામાં આવી છે કે આ જગ્યાને ફરીથી રૂદ્ર મહેલ તરીકે જાહેર કરવામાં આવે અને ત્યાં રૂદ્ર મહાદેવનું સ્થાન કરીને ફરીથી તેમને કબજો આપવામાં આવે.
ઉપરાંત આ મંદિરની આજુબાજુ થયેલ બાંધકામ પણ દુર કરવામાં આવે. કોર્ટ દ્વારા 29 ઓગસ્ટના રોજ નોટીસ કે સમન્સ આપવા બાબતે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.