ઓપરેશન સિંદૂર: ભારતના સુરક્ષા દળોની એક શૌર્યગાથા
ભારતની સુરક્ષા દળો હંમેશા દેશની રક્ષા માટે સજ્જ રહે છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો ખ્યાલ આવે કે આવા અનેક સૈનિક ઓપરેશન થયાં છે, જેમણે પોતાનાં જીવની કે પરિવારની પરવા કર્યા વગર દેશની સુરક્ષાને નવી દિશા આપી છે. આવી જ એક ઘટના 7 મે 2025નાં રોજ ઘટી, જે છે ‘ઓપરેશન સિંદૂર’.
22 એપ્રિલ 2025નાં રોજ, પાંચ સશસ્ત્ર આતંકવાદીઓએ બૈસારન વેલી એટલે કે મીની સ્વીટઝર્લેન્ડમાં પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો. જેમાં હિન્દુ ભાઈઓને નાતજાત પૂછીને જ ટાર્ગેટ કરાયા. હુમલામાં 28 લોકોના મૃત્યુ થયાં. આ શરમજનક ઘટનાનો અંજામ આપનાર આતંકીઓને ખૂણે ખાચરેથી પકડી પાડીને વળતો જવાબ આપવા માટે આખું ભારત તૈયાર થયું. એક પણ આતંકવાદી પકડાયા નહોતા, પરંતુ ઘણાં આતંકી સંગઠનો પર શંકાની અટકળો થઈ રહી હતી.
આ દર્દનાક હુમલાના વળતા જવાબમાં, ભારતે 7 મેંના રોજ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન નિયંત્રિત આતંકીઓના નવ જેટલાં સ્થળોએ હવાઈ હુમલાઓ કર્યા. આ હુમલાઓમાં ફક્ત આતંકવાદી ઢાંચાઓને જ નિશાન બનાવ્યા. 2016 માં ખરીદેલા રાફેલ ફાઈટર જેટનો ઉપયોગ કરીને આ ઓપરેશન પાર પડાયું. તેમાં ભારતે આ વાતને લઈને દાવો કર્યો કે આ હુમલામાં અનેક આતંકીઓ માર્યા ગયા છે. તેમજ અનેક આતંકીઓ ઘાયલ થયા છે. જેમની ફાઈલ તસ્વીરો તરત જ સોશ્યિલ મીડિયામાં ફરતી થઈ ગઈ હતી.
ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેના,CRPF, NSG તેમજ જમ્મુ કાશ્મીરના પોલીસનો સમાવેશ થયો હતો. દસ દિવસથી ચાલી રહેલા આ ઓપરેશનમાં અનેક વિસ્તારને પૂરી સાવધાની પરખીને કવર કરાયા. રાત દિવસ ચાલેલા સર્ચ ઓપરેશન, ડ્રોન દેખરેખ તેમજ સ્થાનિક લોકોથી મળેલી ગુપ્ત જાણકારી વગેરે બધું મળીને આ ઓપરેશન સિંદૂર સફળ થયું.
પાકિસ્તાન સરહદ પર ભયકંર તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. ક્યારે ક્યાંથી હુમલો થાય એ કહી શકાય એવું નહોતું.આથી સરકારે સિવિલ ડિફેન્સ અનેક જિલ્લાઓમાં અને ગુજરાતના 18 જેટલાં જિલ્લાઓમાં 7 મેં ના સાંજે 4 વાગ્યે સાઈરન વગાડી મોકડ્રિલનો પ્રારંભ કરાયો હતો. મોકડ્રિલ 8 વાગ્યા સુધી હતું. આ દરમિયાન શહેરોના લોકોને યુદ્ધની સ્થિતિમાં શું શું કરવું જોઈએ, જો યુદ્ધ થાય તો સાયરન વાગશે જેવી અનેક બચાવોની સમાજ અપાઈ ત્યારબાદ બ્લેક આઉટ કરાયું. જેમાં સ્ટ્રીટ લાઈટ, દુકાનો, શોરૂૂમની લાઈટ, બલ્બ ટ્રાફિક સિગ્નલ, હોર્ડિંગ્સ, ઔદ્યોગિક એકમોની લાઈટ તેમજ સ્વયંભૂ ઘરની લાઈટ પણ બંધ રખાઈ હતી.
આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા જગાવી છે. સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા, ચીન અને ફ્રાન્સ સહિતના અનેક દેશોએ બંને પક્ષઓને શાંતિ અને સંયમ રાખવાની અપીલ કરી છે. પરંતુ, કોઈ આપણા ઘરમાં આવીને કાંકરીચાળો કરે કે નિર્દોષ લોકોનો જીવ લે તો એમને વળતો પ્રહાર કરવો જ પડે. પહલગામ ઘટનામાં નિર્દોષ પુરુષોની કુરબાનીને એમ જ વ્યર્થ કેમ જવા દઈએ? જ્યાં સુધી ભારત સરકાર અને આર્મીઓ ખડે પગે દેશની રક્ષા કરશે ત્યાં સુધી જનતાનો વાળ પણ કોઈ વાંકો ના કરી શકે. જો કોઈપણ દુશ્મન દેશ બેશર્મીની હદ વટાવશે તો અમારી સરકાર તેમના ઘરોમાં ઘૂસીને મારશે. હવે શાંત બેસી રહે તેવી સરકાર નથી.
‘ઓપરેશન સિંદૂર’એ ભારતની આતંકવાદ સામેની સખત અને નિર્મમ નીતિનું પ્રતિબિંબ છે. આ ઓપરેશન દ્વારા ભારત સરકારે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, પોતાના નાગરિકોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. આ ઓપરેશન ભારતની અખંડતા, એકતા અને શૌર્યનું પણ પ્રતિબિંબ હતું. આપણા વીર જવાનોની બહાદુરી અને સમર્પણ હંમેશા આપણી પ્રેરણા રહેશે.ચાલો, આપણે સૌ સાથે મળીને આપણા સુરક્ષા દળોને સલામ કરીએ, જેમના ત્યાગ અને સેવા સમર્પણથી આજે આપણે નિર્ભય જીવન જીવી રહ્યા છીએ.