પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષાદળોની મોટી કાર્યવાહી: લશ્કરનો આતંકવાદી અલ્તાફ ઠાર
પહલગામ હુમલા બાદ સેનાએ મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો એક ટોચનો આતંકવાદી ઠાર મરાયો છે. સુરક્ષા દળોએ લશ્કરના આતંકવાદી અલ્તાફ લલ્લીને ઠાર કર્યો છે.
આજે સવારથી બાંદીપોરામાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.
મીડિયા સૂત્રો અનુસાર, પહલગામ આતંકવાદી હુમલાના ષડયંત્રમાં ટોપ લશ્કર આતંકવાદીઓ પણ સંડોવાયેલા હતાં. તેઓએ 22 એપ્રિલના રોજ થયેલા પહલગામ હુમલામાં આતંકવાદીઓને મદદ કરી હોવાના અહેવાલોના પગલે ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધરી ટોપ લશ્કરના આતંકવાદીઓ પર કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક આતંકવાદી ઠાર થયો છે.
આ એન્કાઉન્ટરમાં પહેલા એક આતંકવાદી ઘાયલ થયાના સમાચાર હતા. આ દરમિયાન બે સુરક્ષા કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે પહેલગામ આતંકવાદી હુમલા પછી, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ ચોથી એન્કાઉન્ટર છે. ગુરુવારે અગાઉ સુરક્ષા દળોએ ઉધમપુરના ડુડુ બસંતગઢમાં કેટલાક આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક હવાલદાર શહીદ થયો હતો.
બાંદીપોરા પોલીસે ગઈકાલે લશ્કર-એ-તૈયબાના ચાર ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW)ની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમને ગુપ્ત માહિતી મળી હતી કે લશ્કર સાથે સંકળાયેલા કેટલાક ઓવરગ્રાઉન્ડ કાર્યકરો પોલીસ અને સ્થાનિક લોકો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ગુપ્ત માહિતીના આધારે, બાંદીપોરા પોલીસે જિલ્લાના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને ઘેરાબંધી કરી.
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આતંકવાદીઓને પકડવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.