કેજરીવાલની જેલ મુક્તિ, હરિયાણામાં ભાજપને ફાયદો
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી માટે સુપ્રીમ કોર્ટમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. કેજરીવાલને એક્સાઈઝ પોલિસી કૌભાંડના સંબંધમાં સીબીઆઇ દ્વારા નોંધાયેલા ભષ્ટાચારના કેસમાં જામીન આપ્યા છે. તેમના જામીનના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. વળી આ વખતે આમ આદમી પાર્ટી હરિયાણા વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની છે. જ્યા તે પૂરી 90 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની છે.
કોંગ્રેસ સાથે ગઠબંધનની ઘણીવાર ચર્ચાઓ થઇ પણ અંતે નિર્ણય એકલા હાથે જ લડવાનો લેવાયો હતો. દિલ્હીના મુખ્યમંત્રીને જામીન મળ્યા બાદ તુરંત જ આમ આદમી પાર્ટીના હરિયાણા એકમના વડા સુશીલ ગુપ્તાએ શુક્રવારે કહ્યું હતું કે, પાર્ટીના વડા રાજ્યમાં પ્રચાર કરશે જ્યા લોકો પરિવર્તનની આશા રાખે છે. જણાવી દઇએ કે, સુશીલ ગુપ્તાના નિવેદન પરથી સમજી શકાય છે કે હવે એપીપી હરિયાણામાં પહેલા કરતા વધુ મજબૂતીથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. જો આપણે ઈતિહાસ પર નજર કરીએ તો કોંગ્રેસ એવા રાજ્યોમાં હારી રહી છે જ્યાં એપીપીએ જોરદાર લડત આપી છે અને આ દેશની સૌથી જૂની પાર્ટીને મુશ્કેલીમાં મૂકી શકે છે.
ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રીને જામીન આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની પ્રશંસા કરી અને કહ્યું કે, અમે હવે બમણી તાકાતથી ચૂંટણી લડીશું. કેજરીવાલજી ટૂંક સમયમાં હરિયાણામાં તેમનો પ્રચાર શરૂૂ કરશે. હરિયાણામાં 5 ઓક્ટોબરે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં એેએપી એકલા હાથે લડી રહી છે. રાજકીય નિષ્ણાતોના મતે હરિયાણામાં ગત વિધાનસભા ચૂંટણીમાં ભલે અઅઙ નો ખાસ રેકોર્ડ ન હતો, પરંતુ આ વખતે તે પોતાનો વોટ બેઝ વધારી શકે છે. તેમની તરફેણમાં પડેલો દરેક મત પરિણામોને ખરાબ રીતે અસર કરી શકે છે. જોકે, હરિયાણામાં મોટાભાગની બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો થવાની સંભાવના છે.
આ સિવાય દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી જેવા નાના પક્ષોનો પણ થોડો પ્રભાવ છે પરંતુ તેઓ પણ મુખ્ય લડાઈમાં ભાગ્યે જ જોવા મળે છે. આ રીતે, એએપી હરિયાણામાં એક મહત્વપૂર્ણ પરિબળ છે, પરંતુ તેની તાકાત હરીફાઈને ત્રિકોણીય બનાવવાની હદે દેખાતી નથી. હરિયાણા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સંપૂર્ણ તાકાતથી કોંગ્રેસને નુકસાન થઈ શકે છે. પાડોશી રાજ્ય પંજાબમાં સરકાર બનાવ્યા બાદ એએપીનું મનોબળ ઊંચુ છે અને તેના નેતા અરવિંદ કેજરીવાલને જેલમાંથી મુક્ત કર્યા બાદ તેના કાર્યકરો વધુ ઉત્સાહી જોવા મળી રહ્યા છે. દિલ્હીના સીએમની પત્ની સુનીતા કેજરીવાલની સાથે પાર્ટીના અન્ય નેતાઓ પણ પ્રચારમાં કોઈ કસર છોડી રહ્યા નથી. રાજકીય પંડિતો માને છે કે એએપીની ઝુંબેશને જેટલી વધુ વેગ મળશે, તેટલા વધુ ભાજપ વિરોધી મતોનું વિભાજન થશે, જેના કારણે કોંગ્રેસને નુકસાન થશે અને ભગવા પક્ષને ફાયદો થશે.