ડ્રગ્સ કેસમાં ગૃહ મંત્રીના દબાણથી ભાજપ નેતાને બચાવવા કારસો
સુરત અને રાજકોટમાં પકડાયેલા ડ્રગ્સ મામલે ગોપાલ ઇટાલિયાના સરકાર પર પ્રહાર
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયાએ એક અત્યંત ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલભાઈ ઇટાલીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે,ગુજરાતના લોકો બુટલેગરોના ત્રાસમાંથી હજુ આઝાદ થયા ન હતા, ત્યાં તો હવે ભાજપના રાજમાં ભાજપના લોકો દ્વારા ગુજરાતના લોકોને ડ્રગ્સના દુષણમાં હોમવાનું કામ થઈ રહ્યું છે. દારૂૂની લડાઈ હજુ પૂરી નથી થઈ અને ભાજપના રાજમાં ડ્રગ્સનું પ્રમાણ વધે તો એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે.
આજના સમાચારથી જાણવા મળ્યું કે રાજકોટમાં ભાજપના નેતાનો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો હતો. આ ગઈકાલે પકડાયો હતો અને બે ચાર દિવસ પહેલા ભાજપના યુવા મોરચાનો હોદ્દેદાર અને ભાજપના લઘુમતી મોરચાના બે હોદ્દેદાર લોકો ડ્રગ્સ વેચતા પકડાયા છે. આ લોકોના ફોટા ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે પણ જોવા મળ્યા છે. આમ જોતા લાગી રહ્યું છે કે આખા ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનું ટેન્ડર ભાજપના નેતાઓએ લીધું છે. આજે બધાને ખ્યાલ છે કે દારૂૂના ધંધામાં ભાજપના કયા કયા નેતાઓ ભાગીદાર છે. અને હવે ડ્રગ્સના ધંધામાં જે રીતે ભાજપના નેતાઓ પકડાઈ રહ્યા છે તે જોઈને લાગી રહ્યું છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપના નેતાઓ કરી રહ્યા છે. તેમ છતાં પણ કોઈને છોડવામાં નહીં આવે તેવી વાતો કરીને હર્ષ સંઘવી ગુજરાતના લોકોની આંખોમાં ધૂળ નાખે છે.
થોડાક દિવસ પહેલા હર્ષ સંઘવીના ખાસ મિત્ર, પરિચિત અને પારિવારિક સંબંધો ધરાવતા એવા ભારતીય જનતા યુવા મોરચાના હોદ્દેદારો વિકાસ આહિર નામનો એક ડ્રગ્સ માફિયા પકડાયો. આ ડ્રગ્સ માફિયાને પકડવા માટે હું સુરતની બાહોશ પોલીસનો આભાર માનું છું. પરંતુ એફઆઇઆર થયા બાદ પાછળથી જે ઘટના ઘટે તે જાણવા જેવી છે. અમારી જાણવું છે કે શું હર્ષ સંઘવીનો મિત્ર હોવાના કારણે કે ભાજપનો હોદ્દેદાર હોવાના કારણે કે કયા ગુપ્ત આશીર્વાદથી આ વિકાસ આહિર નામના વ્યક્તિ સામે માફિયા ગેંગની કોઈ કલમો લગાવવામાં આવી નથી?
મને જાણવા મળ્યું છે કે પોલીસ પર કોઈ છૂપુ દબાણ ઊભું કરવામાં આવ્યું છે.
કોઈ છુપા આદેશો આપવામાં આવ્યા છે. આ આદેશો હર્ષ સંઘવીએ કર્યા કે ભાજપના કોઈ નેતાએ કર્યા તેની કોઈ જાણકારી નથી, પરંતુ પોલીસ પર એટલું બધું દબાણ ઊભું કરવામાં આવ્યું કે કોઈપણ સંજોગોમાં વિકાસ આહિર ઉપર માફિયા ગેંગની કલમ લગાડવામાં ન આવે. આ વ્યક્તિ પર માફિયા ગેંગની કલમો કેમ નથી લગાવવામાં આવી. આનો ખુલાસો ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરવો જોઈએ. સ્ટેટ મોનિટરીંગ સેલના મહાન નિર્દેશક નિર્લિપ્ત રાયએ એક પરિપત્ર બહાર પાડ્યો છે તેમાં ચોખ્ખું લખ્યું છે કે કોઈપણ વ્યક્તિ પર ત્રણ વર્ષ કે તેથી વધુ કેદની શિક્ષાને પાત્ર અને કોગનીજેબલ ગુનો કર્યો હોય તેવા બે ચાર્જસીટ કોર્ટમાં ફાઈલ થયા હોય તો તેવો વ્યક્તિ માફિયા ગેંગનો સભ્ય ગણાશે અને તેના પર માફિયા ગેંગની કલમ લગાડવામાં આવે.
આ ડ્રગ્સ છે પકડાયું છે તે કોમર્શિયલ કોન્ટીટીમાં પકડાયું છે. કાયદામાં તેની પણ જોગવાઈ છે કે સ્મોલ કોન્ટીટી અને કોમર્શિયલ કોન્ટીટી. હર્ષ સંઘવીનો આવા લોકો સાથે શું સંબંધ છે, આવા લોકોને ભાજપના નેતાઓ કે હર્ષભાઈ સંઘવી શા માટે બચાવે છે તે ગુજરાતને એમણે જાણ કરવી જોઈએ. હું ભાજપના નેતાઓને વિનંતી કરવા માગું છું કે તમે કોઈ બીજા બે નંબરના કામ ધંધા કરીને પૈસા કમાઈ લેજો પરંતુ ગુજરાતને ડ્રગ્સના દૂષણમાં ન ધકેલો.