જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષાદળોએ જૈશના 2 આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે વહેલી સવારથી ચાલુ અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલો મળ્યા છે. મળતી માહિતી મુજબ, કિશ્તવાડના ચતરૂ વિસ્તારના સિંઘપોરામાં સુરક્ષા દળોએ અનેક આતંકવાદીઓને ઘેરી લીધા છે. સેના અને સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન હજુ પણ ચાલુ છે. ઘટનાસ્થળે ગોળીબાર પણ થયો છે.
વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને ખતરાને નિષ્ક્રિય કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાઇ એલર્ટ ઓપરેશનમાં આતંકવાદીઓનો સામનો કરવા માટે સેના તરફથી ગોળીબાર થયાના સમાચાર છે.
કિશ્તવાડ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલુ છે. માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે. હાઈ એલર્ટ ઓપરેશનમાં આજે વહેલી સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. કિશ્તવાડના ચટરૂ હેઠળ આવેલા સિંહપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. અગાઉ 16 મેના રોજ થયેલી અથડામણમાં કેલાર, શોપિયાં અને ત્રાલમાં બે જુદા-જુદા અભિયાનો હેઠળ છ આતંકવાદીઓને ઠાર કર્યા હતાં.
જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવાર, 20 મેના રોજ પાકિસ્તાનમાં સ્થિત ચાર આતંકવાદી હેન્ડલરોની મિલકતો જપ્ત કરી હતી. આ કાર્યવાહી ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં અને દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં કરવામાં આવી હતી.