For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાશ્મીરમાં ચૂંટણીનું એલાન સરકારનો મર્દાનગી ભર્યો નિર્ણય

12:08 PM Aug 19, 2024 IST | admin
કાશ્મીરમાં ચૂંટણીનું એલાન સરકારનો મર્દાનગી ભર્યો નિર્ણય

કેન્દ્રીય ચૂંટણી પંચે અંતે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી. પંચે કરેલી જાહેરાત પ્રમાણે, જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની 90 બેઠકની ચૂંટણીમાં 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં 24 બેઠક પર, 25 સપ્ટેમ્બરે બીજા તબક્કામાં 26 બેઠક અને 1 ઓક્ટોબરે ત્રીજા તબક્કામાં 40 બેઠક પર ચૂંટણી યોજાશે. 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી લેફ્ટનન્ટ ગવર્નરના શાસન હેઠળ છે.

Advertisement

કલમ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં પહેલી વાર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેથી ભારત માટે આ ચૂંટણી બહુ મહત્વની છે. સુપ્રીમ કોર્ટે ભલે કેન્દ્ર સરકારને પૂર્ણ રાજ્યનો દરજજો આપવા અને 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં વિધાનસભાની ચૂંટણી કરાવીને લોકશાહીની સ્થાપના કરવા ફરમાન કરેલું પણ અચાનક વધેલા આતંકવાદી હુમલાને કારણે સરકાર પીછેહઠ કરી લેશે એવી પણ ધારણા હતી પણ સદનસીબે કેન્દ્ર સરકારે પીછેહઠ કરવાના બદલે ચૂંટણી પ્રક્રિયાને પાર પાડવાનો નિર્ણય લઈ લીધો. આ નિર્ણય મર્દાનગીભર્યો છે એ સ્વીકારવું પડે. જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી તો સફળતાપૂર્વક થઈ ગઈ પણ વિધાનસભાની ચૂંટણી રોકવા માટે આતંકવાદીઓ પૂરી તાકાત લગાવી રહ્યા છે.

એક તરફ કેન્દ્ર સરકાર ચૂંટણીની તૈયારીમાં લાગેલી હતી તો બીજી તરફ આતંકવાદીઓ ગમે તે ભોગે આ ચૂંટણીને રોકવામાં લાગેલા છે. આ કારણે તેમણે કાશ્મીર ખીણમાં જ નહીં પણ જમ્મુમાં પણ આતંકવાદી હુમલા વધારી દીધા છે અને મોટા ભાગના હુમલા આર્મીના જવાનો પર થઈ રહ્યા છે. આ હુમલાઓના કારણે ચૂંટણી મોકૂફ રખાઈ હોત તો ભારત સરકાર ડરી ગઈ એવો મેસેજ ગયો હોત અને આતંકવાદીઓનો જુસ્સો વધી ગયો હોત. કેન્દ્ર સરકારે આતંકવાદીઓનો જુસ્સો વધારવાના બદલે ચૂંટણી કરાવીને તેમને જવાબ આપવાનું પસંદ કર્યું છે એ સારું છે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનું એલાન કરાવીને કાશ્મીર મુદ્દે ચાલતા કુપ્રચારને પણ જોરદાર જવાબ અપાયો છે. મોદી સરકારે બંધારણની કલમ 370 નાબૂદ કરી દીધી પછી જમ્મુ અને કાશ્મીરનો રાજ્યનો દરજજો પણ છિનવી લીધો. 5 ઓગસ્ટ, 2019ના દિવસે બંધારણની કલમ નાબૂદ કરાઈ પછી જમ્મુ અને કાશ્મીરનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કરી દીધું હતું.

Advertisement

લોકસભાની ચૂંટણીમાં કાશ્મીરની પ્રજાએ નોંધપાત્ર મતદાન કરીને આ વાતને ખોટી પાડી દીધી. કાશ્મીરની પ્રજાએ હકારાત્મક વલણ બતાવીને ભારતમાં અને ભારતની લોકશાહીમાં વિશ્ર્વાસ બતાવ્યો પછી ભારત પીછેહઠ કરીને ચૂંટણી ના કરે તો એ શરમજનક કહેવાત. જમ્મુ અને કાશ્મીરની પ્રજાનો ભારતમાંથી ભરોસો ઊઠી જાત પણ સદનસીબે કેન્દ્ર સરકારે એવું થવા દીધું નથી. ભારત જેવા સંપૂર્ણપણ લોકશાહીને વરેલા દેશમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારના બદલે છ વર્ષથી કેન્દ્રની સરકારના ઈશારે વહીવટ ચાલે એ શરમજનક કહેવાય. હવે કલમ 370 હટાવ્યા બાદ રાજ્યમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી યોજાશે ને નવી સરકાર રચાશે એ સાથે જ એ શરમ પણ દૂર થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement