લોકસભામાં ઓપરેશન સિંદૂરની ચર્ચા શરૂ: રાજનાથે વિપક્ષનો ઉધડો લીધો
લશ્કરી દળોની શૂરવીરતાની પ્રસંશા કરતા સંરક્ષણમંત્રીએ કહ્યું, વિપક્ષોએ ગર્વ લેવો જોઇએ
લોકસભામાં આજે ઓપરેશન સિંદૂર પર 16 કલાકની ચર્ચા શરૂ થઇ છે. ચર્ચાનો પ્રારંભ કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર હેઠળ થયેલી કાર્યવાહીની પ્રસંશા કરી આતંકવાદને ડામવા કોઇપણ પગલા લેવા મોદી સરકારના નિર્ધાનો પૂનરોચાર કર્યો હતો. તેમણે ઓપરેશન દરમિયાન ભારતીય સેનાને થયેલા નુકસાનની વિગતો માગવા બદલ વિપક્ષનો ઉધડો લઇ જણાવ્યુ હતું. કે વિપક્ષે વિદેશી મીડિયાના એહવાલોના બદલે સરકાર અને ભારતીય સેના પર વધુ વિશ્ર્વાસ કરી ગર્વ લેવો જોઇએ.
ચર્ચાની શરૂઆત થાય તે પહેલા કોંગ્રેસે તેના લોકસભા સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો છે, જેમાં તેમને સોમવારથી શરૂૂ થતા ત્રણ દિવસ માટે ગૃહમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. દરમિયાન પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પર ગૃહમાં ચર્ચા કરવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા જાહેર કરેલા વ્હીપ મુજબ, સાંસદોએ ફરજિયાતપણે ગૃહમાં હાજર રહેવું પડશે. બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને અન્ય મુદ્દાઓ સામે વિપક્ષના વિરોધને કારણે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ અઠવાડિયાનો મોટાભાગનો સમય બગાડવામાં આવ્યો હતો. આવતીકાલેે રાજ્યસભામાં આની ચર્ચા કરવામાં આવશે.
સરકાર અને વિપક્ષ વચ્ચે સર્વસંમતિ બન્યા બાદ આજથી લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થઇ હતી.
સરકાર વતી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર, ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને નિશિકાંત દુબે પણ તેમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા અને રાજ્યસભા બંનેમાં બોલી શકે છે. વિપક્ષ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ પર પણ સરકાર પાસેથી સ્પષ્ટતા માંગે છે, તેથી ચર્ચા દરમિયાન જોરદાર હોબાળો થવાની સંભાવના છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીને આ ચર્ચા માટે 30 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. સમાજવાદી પાર્ટી તરફથી અખિલેશ યાદવ અને સાંસદ રાજીવ રાય ચર્ચામાં ભાગ લેશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે પઓપરેશન સિંદૂરથ પર 28 જૂલાઈએ લોકસભામાં 16 કલાક અને 29 જૂલાઈએ રાજ્યસભામાં 16 કલાક ચર્ચા કરવામાં આવશે.
પહેલગામ હુમલાના આતંકીઓ પાકિસ્તાનથી આવ્યાના પુરાવા માગતા કોંગ્રેસના નેતાઓ
કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમનું એક નિવેદન પ્રકાશમાં આવ્યું છે, જેનાથી વિવાદ થયો છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે પહેલગામ આતંકવાદી હુમલા વિશે કહ્યું છે કે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાના પુરાવા ક્યાંથી મળ્યા છે. પી ચિદમ્બરમ કહે છે કે NIA એ આટલા દિવસોમાં શું કર્યું છે. શું તેઓએ આતંકવાદીઓને ઓળખી કાઢ્યા છે, શું તેઓએ શોધી કાઢ્યું છે કે તેઓ ક્યાંથી આવ્યા છે. તેઓ હોમ ગ્રોન ટેરરિસ્ટ પણ હોઈ શકે છે. તમે કેવી રીતે વિચારી શકો છો કે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા. અમારી પાસે હજુ સુધી આનો કોઈ પુરાવો નથી. આજે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે. આ ચર્ચા પહેલા, કોંગ્રેસ પાર્ટી નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો કરી રહી છે. સહારનપુરના કોંગ્રેસ પાર્ટીના સાંસદ ઇમરાન મસૂદે ભાજપ સરકારને આતંકવાદીઓ ભારતમાં કેવી રીતે ઘૂસ્યા અને તેઓ આ ઘટનાને કેવી રીતે અંજામ આપીને ચાલ્યા ગયા તે સમજાવવા કહ્યું છે.બીજી તરફ કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે કહ્યું, ...જો આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોય, તો આપણી સરહદ કેવી રીતે સુરક્ષિત છે? અને જો તેઓ આવ્યા અને ગયા, તો તમે અમને કહો, હું તમને પ્રશ્નો પૂછીશ... શું તેમને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા કે હવામાં ઉતારવામાં આવ્યા હતા?... તેઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા, અમને જણાવો ભાઈ? પક્ષના અન્ય એક નેતા પ્રમોદ તિવારીએ કહ્યું- સરકારે કહેવું જોઈએ કે આતંકવાદીઓ કોણ છે?