હિમાચલમાં રાજકીય કટોકટી વચ્ચે બજેટ પસાર, સુખુ સરકારને જીવતદાન
- રાજ્યસભમાં પક્ષના ઉમેદવાર સિંધવીના પરાજય બાદ આજે બજેટ સત્રમાં ભાજપના 15 ધારાસભ્યોને બહાર કઢાયા: બજેટ બાદ વિધાનસભા મુલતવી
- કેબિનેટ પ્રધાન વિક્રમાદિત્યનું રાજીનામું, સરકાર બચાવવા હાઇકમાન્ડ મેદાને
ગઇકાલે રાજયસભાની ચુંટણીમાં પક્ષના ઉમેદવાર અભિષેક મનુ સિંધવીના નાટકીય પરાજય પછી હિમાચલની કોંગ્રેસ સરકાર લઘુમતીમાં આવી ગઇ હતી. યોગાનુયોગ આજે બજેટસત્ર શરૂ થતાં સરકાર સામે બહુમતી પુરવાર કરવાનો પડકાર હતો. સત્રના પ્રારંભમાં હંગામો મચાવવા બદલ ભાજપના 15 ધારાસભ્યોને માર્શલ દ્વારા વિધાનસભાની બહાર કાઢજા હતા. એ પછી બજેટ પસાર કરીને વિધાનસભા અનિશ્ચિત મુદત માટે મુલત્વી રાખીને સુખવિંદરસિંહ સુખુએ જીવતદાન મેળવી લીધું છે. અગાઉ સરકારમાં મંત્રી પદે રહેલા વિક્રમાદિત્ય સિંહએ રાજીનામું આપતાં સરકાર પર સંકટ ઘેરું બન્યું હતું. વિધાનસભા સત્ર શરૂૂ થતાં જ ભાજપે બબાલ મચાવી દીધી હતી. હિમાચલ પ્રદેશની વિધાનસભામાં ભારે હોબાળાની સ્થિતિને પગલે સ્પીકરે વિપક્ષના નેતા જયરામ ઠાકુર સહિત ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. વિક્રમાદિત્યના રાજીનામ બાદ સરકાર બચાવવા મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવા ઓફર કરી છે. હાઇકમાન્ડે તેમને વાટ જોવા જણાવ્યું છે.
બીજી બાજુ પક્ષના નિરીક્ષક ભૂપિન્દર ચઢા શિમલા પોંચી ગયા છે.હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી રાજકીય ઉઠાપટકનો દોર શરૂૂ થઇ ગયો છે. આ સૌની વચ્ચે વીરભદ્ર સિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહે સીએમ સુખ્ખુના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે મેં પ્રિયંકા ગાંધી અને ખડગેને આ મામલે જાણ કરી દીધી છે. ક્યારેક ક્યારેક કઠોર નિર્ણયો લેવા પડે છે અને વર્તમાન સ્થિતિને જોતાં હું આ સરકારમાં રહી શકું તેમ નથી.
વિક્રમાદિત્યએ કહ્યું કે અમે હંમેશા ટોચના નેતૃત્વનું સન્માન કર્યું છે અને મુખ્યમંત્રીને પણ માન આપ્યું છે પણ ધારાસભ્યોની ફરિયાદોનો ક્યારેય નિકાલ ન આવ્યો. ધારાસભ્યોની અવગણનાને પગલે જ અમે રાજ્યસભાની ચૂંટણી હારી ગયા. તેમણે કહ્યું કે મારી નિષ્ઠા પાર્ટી સાથે છે એટલા માટે મુક્તમને બોલી રહ્યો છું. વિક્રમાદિત્ય સુખ્ખુ સરકારમાં કેબિનેટ મંત્રી હતા.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિક્રમાદિત્ય સિંહ પોતાના પિતાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. તેમણે પિતાની સરખામણી છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર સાથે કરી હતી. તેમણે કહ્યું કે આખી ચૂંટણી વીરભદ્ર સિંહના નામે લડાઈ હતી. ભારે હૃદય સાથે મારે કહેવું પડે છે કે હિમાચલમાં જે વ્યક્તિના કારણે કોંગ્રેસની સરકાર બની હતી તેમની પ્રતિમા સ્થાપિત કરવા માટે શિમલાના મોલ રોડ પર 2 યાર્ડ જમીન પણ આપવામાં આવી નથી. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
તેમણે કહ્યું કે જે સંજોગોમાં 2022ની ચૂંટણી યોજાઈ હતી, તેમાં વિપક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રી અને પ્રતિભાસિંહે સંયુક્ત પ્રયાસો કર્યા હતા. ત્યારે ચૂંટણીમાં વીરભદ્ર સિંહના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ વીરભદ્રના ફોટાનો ઉપયોગ કરીને જાહેરાતો દ્વારા જનતા પાસેથી મત માંગ્યા હતા. મને ક્યારેય કોઈ પદની ઈચ્છા નહોતી.