2006 મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય: તમામ 12 આરોપીને નિર્દોષ જાહેર કરાયા
૧૧ જુલાઈ ૨૦૦૬ના રોજ થયેલા મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટના કેસમાં આજે બોમ્બે હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો. આ કેસમાં નીચલી અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા ૧૨ આરોપીઓમાંથી ૧૧ આરોપીઓને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. એક આરોપીનું અપીલ પ્રક્રિયા દરમિયાન મૃત્યુ થયું હતું. આ ચુકાદો ૧૯ વર્ષ પછી આવ્યો છે. કોર્ટે કહ્યું છે કે ફરિયાદ પક્ષ તેમની સામેનો કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.
હાઈકોર્ટની ખાસ બેન્ચે ચુકાદામાં કહ્યું હતું કે 'કેસમાં રજૂ કરાયેલા પુરાવા વિશ્વસનીય નહોતા' અને 'ઘણા સાક્ષીઓની જુબાની શંકાના દાયરામાં હતી'. કોર્ટે એ પણ સ્વીકાર્યું હતું કે આરોપીઓની બળજબરીથી પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા, જે કાયદેસર રીતે માન્ય નથી.
૨૦૦૬માં થયેલા આ ભયાનક બોમ્બ બ્લાસ્ટમાં મુંબઈની લોકલ ટ્રેનોમાં સાત સ્થળોએ વિસ્ફોટ થયા હતા, જેમાં ૧૮૯ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૮૨૪ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં, વર્ષ ૨૦૧૫માં, ખાસ કોર્ટે કુલ ૧૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જેમાંથી ૫ને મૃત્યુદંડ અને ૭ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી તેમાં મોહમ્મદ ફૈઝલ શેખ, એહતેશામ સિદ્દીકી, નાવેદ હુસૈન ખાન, આસિફ ખાન અને કમાલ અંસારીનો સમાવેશ થાય છે. કમાલ અંસારી નામના આરોપીનું 2022 માં કોવિડ-19 ને કારણે જેલમાં મૃત્યુ થયું હતું.