છત્તીસગઢમાં સુરક્ષાદળોનું વધુ એક મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠાર
છત્તીસગઢમાં સુરક્ષાદળોનું વધુ એક મોટું ઓપરેશન. છત્તીસગઢના સુકમા અને દંતેવાડા સરહદી વિસ્તારોમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટરમાં 16 નક્સલી માર્યા ગયા. મળતી માહિતી મુજબ આ એન્કાઉન્ટરમાં માઓવાદીઓને ભારે નુકસાન થયું છે અને 16 નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળો દ્વારા આ વિસ્તારમાં એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
જણાવવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓને ઠાર કર્યા છે અને બે જવાનોને સામાન્ય ઈજા થઈ છે. તમને જણાવી દઈએ કે છત્તીસગઢના સુકમા જિલ્લામાં શનિવારે સવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર કેરળપાલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક જંગલમાં થયું હતું, જ્યાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી.
એક અધિકારીએ જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો આ ઓપરેશનમાં સામેલ છે. તે વિસ્તારમાં માઓવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ શુક્રવારે રાત્રે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
આ પહેલા મંગળવારે દંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. તેમાં માઓવાદી સુધીર ઉર્ફે સુધાકર ઉર્ફે મુરલીનો પણ સમાવેશ થાય છે, જેના પર 25 લાખ રૂપિયાનું ઈનામ હતું. આ સાથે જ ઘટનાસ્થળેથી ઈન્સાસ રાઈફલ, 303 રાઈફલ સહિત મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો.