મિશન સંકલ્પ હેઠળ છત્તીસગઢ સરહદ નજીક 15 નક્સલી ઠાર
ગત માસે પણ આ વિસ્તારમાં 3 નક્સલી માર્યા ગયા હતાં
પહલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂૂ કર્યું અને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો. બીજી તરફ નક્સલવાદ વિરુદ્ધ પણ ભારતના વીર જવાનો લડત આપી રહ્યા છે. છત્તીસગઢ-તેલંગાણાની સરહદ નજીક બીજાપુર જિલ્લામાં 15 નક્સલીઓના ઢીમ ઢાળી દેવાયા છે.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર બીજાપુર જિલ્લામાં કરેગુટ્ટા ટેકરીઓ પાસે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 15 થી વધુ નક્સલીઓને ઠાર કર્યા છે. આ કાર્યવાહી મિશન સંકલ્પ હેઠળ કરવામાં આવી છે. એપ્રિલમાં પણ આ જ જંગલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 3 નક્સલીઓ માર્યા ગયા હતા. છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કરેગુટ્ટાની ટેકરીઓ પર સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન શરૂૂ કર્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ નક્સલવાદનો અંત લાવવાનો છે.