મોરબી-અણિયારી હાઇવેને ફોરલેન બનાવવાની તડામાર તૈયારીઓ શરૂ: નડતરરૂપ દબાણો હટાવાયા
મોરબી - અણીયારી 321 નંબરના રાજ્ય ધોરીમાર્ગ પર ફોરલેન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે જેમાં નડતરરૂૂપ દબાણો દૂર કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.
મોરબી- જેતપર-અણીયારી માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો 321 નંબરનો રાજ્ય ધોરી માર્ગ છે. જેમા મહેંદ્રનગર ચોકડીથી અણીયારી જેતપર ઘોડાધ્રોઈ નદીના બ્રિજ સુધી ચાર માર્ગિકરણ તથા જેતપર ઘોડાધ્રોઈ નદીના બ્રિજથી ગામતળમાંથી પસાર થઈ લંબાઈમાં રીસરફેસિંગ કરવાની કામગીરી, ત્યારબાદની લંબાઈમાં અણીયારી ચોકડી સુધીમાં 10,00 મી પહોળો કરવાની કામગીરીનો સમાવેશ થાય છે. જેતપર ગામતળમાં માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તક્ની જગ્યા ઉપ્લબ્ધ ન હોવાથી હયાત રસ્તાના ગામતળમાંથી પસાર થઈ લંબાઈમાં ફક્ત રીસરફેસિંગની જ કામગીરી હાલના કામમાં સમાવેશ કરવામાં આવેલ, જે કામગીરી દુકાનદારો દ્વારા કરેલા દબાણને કારણે અટકેલી હતી.
જે દબાણ હટાવવા દુકાનદારોને ગ્રામ-પંચાયત દ્વારા બે વખત નોટિસ આપવા છતા દુકાનદારોએ સ્વેચ્છાએ દબાણ દુર કરેલ ન હતુ. જે દબાણ આજ તા. 28/12/2023 ના રોજ જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજય સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત કચેરી મોરબી તેમજ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન (સ્ટેટ)ની સંયુક્ત ટીમ દ્વારા PGVCLના કર્મચારીઓની હાજરીમા પોલીસ પ્રોટેક્શન સાથે દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
જે કાર્યવાહીમાં તાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગર, ઈ.ચા. કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન (સ્ટેટ)- એચ.એ. આદ્રોજા, સમાજ કલ્યાણ અધિકારી અતુલ છાછીયા, નાયબ કાર્ય પાલક ઇજનેર (સ્ટેટ) - ચંદ્રાલા, એ.ટી.ડી.ઓ. વી.એમ જિવાણી, વિસ્તરણ અધિકારી પંચાયત કલ્પેશ બારેજીયા, તા.પં.મોરબી દબાણ ક્લાર્ક ધર્મેન્દ્ર દેત્રોજા અને PGVCL તથા પોલીસ સ્ટાફ હાજર રહેલ અને કાર્યવાહીમાં 10 જેટલી દુકાનો તથા શાક માર્કેટ અને વિવિધ દબાણકારો દ્વારા ઓટા બનાવી કે અન્ય રીતે કરેલ અંદાજીત 50,000 ચો.ફુટ જેટલુ દબાણ દુર કરવામાં આવેલ છે.