કચ્છના ઇશ્ર્વર આશ્રમ વાંઢાયના ગાદીપતિ મુદ્દે હોબાળો
ગાદીપતિની પરંપરા ન હોવા છતાંય ખેલ પાડવા કારસો, મદદનીશ ચેરિટી કમિશનર રાજકોટની ભૂમિકા સામે સવાલ ઉઠાવતા ટ્રસ્ટી
કચ્છમાં બહોળો ભાવિક વર્ગ ધરાવતા અને કચ્છ ઉપરાંત હરિહરમાં પણ ધાર્મિક મહત્વ ધરાવતા હરિહર પરંપરાના ઈશ્વર આશ્રમ વાંઢાય સ્થિત ગુરૂૂભગવંતોના સમાધિ મંદિર અને વહીવટી મુદ્દે વિવાદ જાગ્યો છે અને અમુક ટ્રસ્ટીઓએ મળીને મદદનીશ ચેરિટી કમિશનર રાજકોટ સુધી રજૂઆત કરી છે .
ટ્રસ્ટીઓ પૈકી જયેશ દયાળજી ચાંદ્રાએ આપેલી લેખિત યાદીમાં જણાવ્યાનુસાર વર્તમાન સમયે ઈશ્વર આશ્રમ વાંઢાયમાં કોઈ ગાદીપતિ નથી. કચ્છના અઢારેય વર્ણ આ ધાર્મિક સ્થળ સાથે શ્રદ્ધાપૂર્વક જોડાયેલા છે પણ છેલ્લા ગાદીપતિ કરશનરામજી બ્રહ્મલીન થયા બાદ તેમના બે શિષ્યો પૈકી કોઈની ને પણ મહંત તરીકે ચાદર વિધિ કરી ન હોવા છતાં હાલ એક શિષ્ય એ પોતાને મહંત જાહેર કર્યા છે અને સરકારી તંત્રના અમુક લોકો પણ તેમને સમર્થન આપી એક વર્ષો નહીં સદીઓની પરંપરા સાથે રમત કરી રહ્યા છે કરી રહ્યા છે.
ટ્રસ્ટની યાદીમાં જણાવ્યાનુસાર છેલ્લા મહંત કરશનરામ મહારાજના 2 શિષ્યો છે. જેમાંથી મોટા શિષ્ય મોહનદાસને અનેક કારણોસર નખત્રાણાના રામેશ્વર આશ્રમના મહંત તરીકે નિયુક્ત કરી ત્યાં મોકલી અને ઈશ્વર આશ્રમ વાંઢાયમાં ગાદીપતિ તરીકે નહીં પણ ફક્ત દર્શન પૂરતા આવવાની સૂચના અપાઈ જેથી મોહનદાસ હાલે પણ નખત્રાણા વહીવટ કરી રહ્યા છે અને ઈશ્વર આશ્રમ વાંઢાયનો વહીવટ ગુરુ કરશનદાસ જોડે રહીને ટ્રસ્ટીઓ પઠાઈભાઈ, રવિ પટેલ, નવીન ઐયા, અશોક મંગે વગેરે કરતા આવ્યા છે.
કરશનરામ મહારાજના 2012માં બ્રહ્મલીન થયા બાદ એમના સોડસી ભંડારામાં કોઈ ચેલાને મહંત તરીકે ચાદર વિધિ નહીં કરતા સંત સેવાદાસ અને હરિહર પરંપરાના અને કચ્છના સાધુ મહંતો, અનુયાયીઓ, ટ્રસ્ટીઓએ સર્વે એ પાદુકા પૂજનની પરંપરા શરૂૂ કરી હતી અને વહીવટી સમિતિની રચના કરી વહીવટ ચલાવવામાં આવતો હતો. પરંતુ આ ટ્રસ્ટનું બંધારણ એક લીટીમાં મુખ્ય શિષ્ય ગાદીપતિ બનશે એ મુજબનું હોવાથી મોહનદાસ નામના શિષ્યે બધાને અંધારામાં રાખી પોતે એક માત્ર શિષ્ય છે એવી ખોટી એફિડેવિટ અને ચાદર વિધિના ખોટા પુરાવા રજૂ કરી નાયબ ચેરિટી કમિશ્નરને અરજી કરી પોતાનું નામ દાખલ કરવામાં સફળ રહ્યા.
સેશન્સ કોર્ટે એમની નિયુક્તિ રદ કરી અને પુરાવા તપાસી નિર્ણય કરવા કેસ રિમાન્ડ કર્યો હતો. એની સામે મોહનદાસ હાઈકોર્ટમાં ગયા ત્યાં પણ એમની અપીલ ડિસ્મિશ થઈ અને આ બાજુ બીજા શિષ્ય ભરતદાસ પણ પોતાનો ફેરફાર રીપોર્ટ ભર્યો. જેથી બંને શિષ્યોના હાલે ફેરફાર રિપોર્ટ પેન્ડિંગ છે.
બંને શિષ્યોની લડાઈમાં ટ્રસ્ટનો વહીવટ ખાડે જતા અનુયાયીઓએ 5 જણની કમિટી બનાવી મદદનીશ ચેરિટી કમિશનર રાજકોટને વહીવટ સોંપવા અરજી કરતા મદદનીશ ચેરિટી કમિશ્નર આર.વી.વ્યાસે ચેરીટી કચેરીના એક અધિક્ષક 5 કુલ 6 જણાને વહીવટ સોંપવાનો હુકમ કરતા, એ મુજબ વહીવટ કરતા આવ્યા. જેની સામે મોહનદાસ હાઈકોર્ટમાં ગયા છે જે હાલે પેન્ડિંગ છે. દરમિયાન મદદનીશ ચેરિટી કમિશ્નર રાજકોટે પક્ષકારોને સાંભળ્યા વગર વધારાનો હુકમ કરી પાંચ જણાના નામ હટાવી વધુ એક સરકારી કર્મચારીને ઉમેરીને કુલ એમના જ 2 જણાને વહીવટ સોંપવા હુકમ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
મદદનીશ ચેરિટી કમિશ્નર રાજકોટની મૌખિક સૂચનાથી અચાનક વહીવટદારની સમિતિના સભ્ય અશોક મંગેને ફોન આવ્યો કે તાત્કાલિક તમે કબજો વહીવટ મોહનદાસના મેનેજર અને ક્લાર્કને પાછો સોંપી દો કે જેની પાસેથી પહેલા સમિતિએ કબ્જો લીધો હતો. હાલે મોહનદાસ પીટીઆર ઉપર નથી ત્યારે એને કબજો આપવો હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટની વિરૂૂધ્ધ છે અને હાઈકોર્ટમાં મેટર સબજયુડીસ હોવાને કારણે યથાવત સ્થિતિ જાળવી રાખવાની થાય છે. આ પરિસ્થિતિ ઊભી થતા અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ધાર્મિક જગ્યાઓમાં કાયદાની ઉપરવટ જઈ ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખવા વગર ગણ્યા ગાંઠયાઓને રાજી કરવા ગમે તેવા ખોટા હુકમો કરીને હુકમો વિરુદ્ધ સૂચનાઓ આપીને સરકારી અધિકારીઓ મન ફાવે એમ હસ્તક્ષેપ કરી રહ્યા હોવાનો આક્ષેપ આ યાદીમાં જયેશ દયાળજી ચાંદ્રાએ કર્યો છે.