ભુજના માધાપરની હોટેલમાં કલરકામ કરતી વેળાએ વીજશોક લાગતા બેનાં મોત
ભુજ-માધાપર ધોરીમાર્ગ પરની હોટલમાં ગઈકાલ સાંજે કડિયાકામ અને ક્લરકામ કરતી વેળાએ મજૂરો ભારે વીજળીની લાઇનના સંપર્કમાં આવતાં બે મજૂરનાં મોત નિપજ્યા હતા, જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં દાખલ આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આ અંગે જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં કોન્ટ્રાક્ટર શંકરલાલ પ્રસાદે નોંધાવેલી એમએલસી પરથી મળેલી જાણકારી મુજબ ભુજ આત્મારામ સર્કલથી માધાપર ધોરીમાર્ગ પર ગ્રાન્ડ થ્રીડી હોટલમાં ચાલતા કડિયાકામ અને ક્લરકામ દરમિયાન સાંજે આ વીજકરંટની દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં તેમની પાસે ક્લરકામ કરતા 35 વર્ષીય પરેશ બારોટ (મિરજાપર) અને 50 વર્ષીય શાહીદ આત્મજ ઇદરીશ શેખ (ભુજ)ને વીજશોક ભરખી ગયો. હતો. જ્યારે કડિયાકામ કરતા અરુણ પંડિત (ભુજ) ઘાયલ થયો છે.
કામ દરમિયાન ત્રણે ભારે વીજલાઇનના સંપર્કમાં આવતાં વીજકરંટથી ઘાયલ થતાં તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન પરેશ અને બાદમાં શાહીદે દમ તોડી દીધો હતો. આ મામલે ભુજ બી ડિવિઝન પોલીસે પ્રાથમિક વિગતોને આધારે આગળની તપાસ હાથ ધરી છે.