માતાના મઢનું 32.71 કરોડના ખર્ચે નવીનીકરણ
પરિસરમાં શ્રદ્ધાળુઓ માટે અનેક સુવિધા, ખાટલા ભવાની મંદિર- ચાચરા કુંડને નવું સ્વરૂપ, સોમવારે પીએમ મોદીના હસ્તે ઇ-લોકાપર્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 તથા 27 મેના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન ગુજરાતની આ મુલાકાત દરમિયાન પહેલા જ દિવસે એટલે કે 26 મેના રોજ કચ્છના પ્રવાસે જશે અને ભુજ ખાતે આયોજિત સમારંભમાં રૂૂ. 53,414 કરોડના કુલ 33 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ કરશે. વડાપ્રધાન દ્વારા જે 33 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ થનાર છે, તેમાં ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા ધામના માતાનો મઢ માસ્ટર પ્લાન હેઠળ થયેલ વિકાસકાર્યોનાં ઇ-લોકાર્પણનો પણ સમાવેશ થાય છે.
રાજ્ય સરકાર તથા તેના હેઠળ કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલ સમગ્ર આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે રૂૂ. 32.71 કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો હતો, જે હવે પૂર્ણ થયો છે. આ માસ્ટર પ્લાન હેઠળ માતાનો મઢ - આશાપુરા માતા મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. માસ્ટર પ્લાન હેઠળ શ્રી આશાપુરા માતાજી મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓ માટે મોટાપાયે સુવિધાઓ અને સવલતો ઊભી કરવામાં આવી છે. ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડને નવું સ્વરૂૂપ આપવામાં આવ્યું છે, તો રૂૂપરાય તળાવનું સૌંદર્યીકરણ, એન્ટ્રન્સ પ્લાઝા, પાર્કિંગ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. યાત્રાધામ પરિસરમાં પીવાના પાણીની સુવિધા, પ્રસાધન, બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશનના કાર્યો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે.ખાટલા ભવાની મંદિર પર્વતની ટોચ પર છે કે જ્યાં પહોંચવા માટે પગથિયા (ધાબા સાથે) તથા ગાડી જઈ શકે એવો રસ્તો હતો. પર્વતની ટોચે મંદિર પાસે અવિકસિત મોટો વિસ્તાર આવેલો હતો કે જ્યાંથી સંપૂર્ણ માતાનો મઢ ગામ જોઈ શકાય છે.
માસ્ટર પ્લાન હેઠળ ખાટલા ભવાની મંદિરે જવા માટેના પગથિયાનું રિનોવેશન, મંદિરમાં પથ્થરનું ક્લેડિંગ તેમજ પર્વત પર યાત્રિકો માટે પરિસરનો વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં વોક-વે, બાળ ક્રીડાંગણ, ગઝેબોનું રીપેરિંગ, વાહનો મારફતે આવતાં યાત્રાળુઓ માટે રેમ્પ-એપ્રોચ, પ્લાન્ટેશન, પાર્કિંગ અને શૌચાલય બ્લોક, હંગામી સ્ટોલ માટે શેડ-ઓટલા, મુખ્ય પ્રવેશદ્વાર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. માસ્ટર પ્લાન હેઠળ ચાચરા કુંડનો અદ્યતન લાઇટિંગ સાથે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ચાચરા કુંડ પરિસરમાં વોક-વે, બાળ ક્રીડાંગણ, બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અહીં આવતાં પ્રવાસીઓ જાતે ભોજન બનાવીને જમી શકે, તે માટે કિચન-ડાઇનિંગ સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, એમ્ફી થિયેટર પ્રકારની બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશન, શૌચાલય બ્લોક તથા મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. માસ્ટર પ્લાન અંતર્ગત છેલ્લા તબક્કામાં માતાનો મઢ ખાતે આવેલ રૂૂપરાય તળાવ તથા આશાપુરા માતા મંદિર ખાતેના વિકાસકાર્યો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે.