સોમવારે ભુજમાં PM મોદીનો ભવ્ય રોડ શો, જાહેરસભા
લોકાર્પણ-ખાતમુહૂર્ત સહિતના અનેક કાર્યક્રમો, વિશાળ ડોમ બનાવાયો, તંત્ર દ્વારા તડામાર તૈયારી
આગામીમાં 26 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરનાં 3 કલાકે ભુજ ખાતે પહોંચશે અને ત્યારબાદ વડાપ્રધાનના દોઢ કિમીના એક રોડ શોમાં તેમનું ભવ્ય અભિવાદન કરાશે.બાદમાંતેઓ મિરઝાપર રોડ ઉપરનાં ગ્રાઉન્ડમાં વિશાળ જાહેર સભાને સંબોધન કરશે.વડાપ્રધાનના આગમને લઇને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.
સભા સ્થળે ડોમ ઉભા કરવાની સાથે સાથે રોડ શો માટે બંન્ને સાઇડમાં બેરીકેટ લગાડવાની કામગીરી પણ પુરજોશમાં કરવા આવી રહ્યા છે. જે સ્થળે રોડ શો યોજવાનો છે, તે હિલગાર્ડન વાળા રસ્તાને પહેલાથી જ ડામરથી મઢવામાં આવ્યો છે. તો ભુજ સહિત વિવિધ નગરપાલિકાઓ દ્વારા સમગ્ર રસ્તાની બંન્ને સાઇડની સાફ્ - સફઇ કરવાની સાથે રસ્તા ધુળ રહિત કરવામાં આવી રહ્યા છે.આ તકે, કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત સરહદી કચ્છ જીલ્લામાં પધારી રહ્યા છે. ઓપરેશન સિંદુર દરમ્યાન સરકાર, સેના સાથે કચ્છનાં તમામ નાગરિકો મજબુતાઇ અને સશક્તરીતે મક્કમતાથી દેશ ભક્ત ભારતીય નાગરિક બનીને સૌ સાથે ઉભા રહ્યા બાદ હવે વડાપ્રધાન આગામી 26મેનાં ભુજથી અલગ અલગ કામોનાં લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવાના છે.
વડાપ્રધાનનાં ભુજ આગમન પૂર્વે સરકારનાં માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા જાહેરસભા સ્થળ ઉપર વિશાળ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં હાલની ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને લઇને તે પરિસ્થિતિ વચ્ચે પણ આરામથી નાગરિકો કાર્યક્રમમાં સંમેલિત થઇ શકે એ પ્રકારની વ્યવસ્થા છે. રોડ શોમાંં પણ વિશાળ સંખ્યામાં અલગ અલગ જ્ઞાતિ, ધર્મ સમુદાયનાં લોકો દેશભક્ત નાગરિક તરીકે તરીકે સંમેલિત થશે. જાહેરસભા સ્થળ પર પાર્કિગ, ટ્રાન્સપોર્ટેશન સહિત તમામ પ્રકારની વ્યવસ્થાને ઝડપભેર અંતિમ ઓપ અપાઈ રહ્યો હોવાનું પણ કલેકટરે જણાવ્યું હતું.ભાજપના જિલ્લા પ્રમુખ દેવજીભાઇ વરચંદે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિરઝાપર રોડ ઉપરનાં ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધન કરશે. તે પૂર્વે દોઢ કિમી લાંબો રોડ શો યોજવામાં આવશે. જેમાં તમામ સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં કચ્છની ભાતિગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરશે. આ ઉપરાંત દસ સ્ટેઝ ઉપર દેશભક્તિની થીમ પર વિવિધ કાર્યક્રમ યોજાશે.
ભારતીય સેનાના પરાક્રમને સન્માનવા નિવૃત્ત સૈનિકો પણ હાજર રહેશે. સમાજનાં અગ્રણીઓ, સાધુ-સંતો, અલગ અલગ ક્ષેત્રે પ્રગતિ કરી હોય તેવા મહાનુભાવોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. જેઓ અગ્રહરોળમાં પોતાનું સ્થાન લેશે. કાર્યક્રમમાં સવા લાખ લોકો વડાપ્રધાનને સાંભળવા માટે હાજર રહે તેવો અંદાજ પણ વ્યક્ત કર્યો હતો.
10 હજાર બહેનો સિંદૂર અને કેસરી સાડીમાં જોવા મળશે
સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે,ઓપરેશન સિંદુર પછી દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરહદી જીલ્લા કચ્છમાં પધારી રહ્યા છે.ત્યારે તેને અનુલક્ષીને ભવ્ય રોડ શો અને જાહેર સભા યોજવામાં આવશે.જાહેર સભામાં એક અદભૂત નજારો જોવા મળશે.10 હજાર બહેનો સિંદુર અને કેસરી સાડીમાં જોવા મળશે.હજ્જારોની સંખ્યામાં તિરંગા સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે.રોડ શોમાં એક કિલોમીટરનો લાંબો ધ્વજ દરેક લોકોનાં હાથમાં હશે અને તે એક રેકોર્ડ થશે.આ સાથે અલગ અલગ સમાજની મંડળીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનાં માધ્યમથી દેશભક્તિનો માહોલ અનુભવવા મળશે.