અંજારમાં લગ્નની લાલચ આપી સગીરા પર શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ, ગર્ભવતી થતા ગર્ભપાત કરાવ્યો
પોલીસમાં એક બાળ કિશોર સહિત ચાર શખ્સો સામે નોંધાતો ગુનો
અંજારમાં એક શખ્સે કિશોરીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધતાં કિશોરી ગર્ભવતી બની હતી. બાદમાં અન્ય આરોપીઓએ કિશોરીની સંમતી વગર ગર્ભપાત કરાવતાં પોલીસ મથકે ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
અંજારના રેલવે મથક પાછળ આવેલા એક વિસ્તારમાં ગત તા. 1/1/2024થી 21/6/2025 દરમ્યાન આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપી ગોવિંદ નારૂૂ દેવીપૂજક નામના શખ્સે એક કિશોરીને લગ્નની લાલચ આપી ભોગ બનનારની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
દરમ્યાન કિશોરી ગર્ભવતી બનતાં ગોવિંદ તથા લીલાબેને ગર્ભ પડાવી નાખવા અંગે ધમકી આપી હતી. બાદમાં કિશોરીની સંમતી વગર પડાણાની એક હોસ્પિટલમાં લઈ જઈ ત્યાં ગર્ભપાત કરાવવામાં આવ્યું હતું.
બનાવ અંગે પોલીસે ગોવિંદ, લીલાબેન, સોનાબેન તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.