CMનું હેલિકોપ્ટર બગડ્યું, કાર માર્ગે ધોરડો આવ-જા કરી
કચ્છના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું હેલિકોપ્ટર આજે સવારે બગડતા તેમને ખાવડાથી ભૂજ સુધી 80 કિલોમીટર સુધી બાય રોડ પહોંચવું પડ્યલું હતું અને ભુજથી ક્રાફ્ટ લઈને ગાંધીનગર રવાના થયા હતાં.
મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ગાંધીનગરથી સરકારી એરક્રાફ્ટ મારફત ભૂજ પહોંચ્યા હતા અને ભૂજમાં બસપોર્ટનું લોકાર્પણ કર્યા બાદ હેલિકોપ્ટર માર્ગે ભૂજથી ધોરડો જવાના હતા પરંતુ સરકારી કંપની ગુજસેલનું હેલિકોપ્ટર બગડતા મુખ્યમંત્રી ભૂજથી કારમાર્ગે ધોરડો ખાતે રણ મહોત્સવમાં પહોંચ્યા હતા અને રાત્રે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કર્યુ હતું.
આ દરમિયાન સાંજે ઘોરડો ખાતે હેલિકોપ્ટર નહીં પહોંચતા મુંબઈથી હેલિકોપ્ટર મગાવવા પ્રયાસો કરવામા આવ્યા હતાં. પરંતુ ખરાબ હવામાનના કારણે મુંબઈથી હેલીકોપ્ટર કચ્છ પહોંચી નહીં શકતા આજે બપોરે પણ ધોરડોથી મુખ્યમંત્રી મોટરમાર્ગે ભૂજ પહોંચ્યા હતા અને ત્યાંથી બપોરે ત્રણ વાગ્યે સરકારી વિમાનમાં ગાંધીનગર રવાના થયા હતાં.
મુખ્યમંત્રી વિમાન માર્ગે ભૂજ પહોંચ્યા બાદ ધોરડો આવવા-જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવાના હતા પરંતુ ગુજસેલનું હેલીકોપ્ટર બગડડ્યું હોવાથી ભૂજ પહોંચી શકેલ ન હતું. જેથી મુખ્યમંત્રીનો કાફલો બાયરોડ ધોરડો ગયો હતો અને રાત્રી રોકાણ ત્યાં કર્યા બાદ આજે બપોરે ધોરડોથી ભૂજ પણ કાર માર્ગે પહોંચ્યા હતાં.
જો કે, સાલસ સ્વભાવના મુખ્યમંત્રીએ કાર માર્ગે ધોરડોથી ભુજ આવવાનો આનંદ માણ્યો હતો અને રસ્તામાં ખાવડા ખાતે કાફલો રોકી સામાન્ય માણસની માફક ચાની ચુસ્કી મારી હતી અને ચાના હોટલના માલીક તેમજ અન્ય લોકો સાથે સંવાદ પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજસેલના જવાબદાર અધિકારીઓએ મોટો લોચો માર્યો હતો. તા.24 નવેમ્બરે મુખ્યમંત્રીને લેવા માટે હેલિકોપ્ટર અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર મોકલવાનું હતું. ત્યાંથી મુખ્યમંત્રી પીરાણા સાઇટની મુલાકાતે જનાર હતા પરંતુ ગુજસેલના અધિકારીઓ આ આખો કાર્યક્રમ ભુલી જતા મુખ્યમંત્રીએ રોડ માર્ગે જવું પડયું હતું. આજ રીતે ગત તા.30ના રોજ રાજયપાલના કાર્યક્રમમાં પણ હેલિકોપ્ટર મોકલવાનું ભુલાઇ ગયુ હતું. જેના પગલે ગુજસેલના ડાયરેકટર સાંગવાનની બદલી કરી નાખવામાં આવી હતી.