કચ્છ ભાજપના અગ્રણી ડો.નીમાબેન આચાર્યના પુત્રની કંપની સામે 8.50 કરોડની વસુલાત માટે કેસ
ગાંધીધામની રીગલ શિપિંગ સામે જામનગરની કંપનીએ લેણી રકમ નહીં ચૂકવ્યાનો કેસ દાખલ કર્યો
જામનગર ખાતે કાર્યરત શ્રીજી શિપીંગ નામની કંપનીએ કચ્છના ગાંધીધામમાં સ્થિત રીગલ શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની વિરુદ્ધ રૂૂપિયા 8.50 કરોડની બાકી રકમની ચુકવણીના મુદ્દે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો છે. નોંધનીય બાબત એ છે કે, કચ્છ ભાજપના મહિલા અગ્રણી અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યના પૂત્ર મૌલિન ભાવેશ આચાર્ય ગાંધીધામની આર. સી.સી. લિમિટેડમાં ડાયરેકટર પદે છે. મૌલિન આચાર્ય ઉપરાંત નરેન્દ્રસિંહ દલપતસિંહ રાણા, દિલીપ નાનુ શાહ, સંદિષ મોતીલાલ શાહ અને પારસ ચૌધરી પણ આ પેઢીમાં ડાયરેક્ટર તરીકે છે.
જામનગરની શ્રીજી શીપીંગ કંપની દ્વારા રીગલ શીપીંગ પ્રા. લી. કંપનીને આપવામાં આવી રહેલી બાર્જ-ટગ અને ક્રેઈનની સર્વિસ અંગેનાં બીલની લેણી રકમ રૂૂ. 8,51,25,877 કંપનીને ચુકવી નથી. આ ઉપરાંત શ્રીજી શીપીંગ કંપની દ્વારા આપેલી સર્વિસ અંગેનાં બીલોનો આર.સી.સી. લીમીટેડ દ્વારા ટી.ડી.એસ. પણ કપાત કરાયો હોવાનું નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સમક્ષ ફરિયાદી પક્ષ દ્વારા જણાવાયું છે. હાલ ડો.નીમાબેન આચાર્ય અને તેમનો પરિવાર વિદેશ હોઈ, આ કેસ અંગે તેમની પ્રતિક્રિયા જાણવા મળી નથી.