ગાંધીધામમાં આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 12 લાખની લૂંટનો પ્રયાસ: ત્રણ આરોપી ઝડપાયા
પોલીસની સતર્કતાથી ત્રણેય આરોપીને સામખિયાળી પાસેથી ઝડપી લીધા
ગાંધીધામમાં તાજેતરમાં બનેલા આંગડિયા પેઢીના સંચાલકના અપહરણ કેસમાં પોલીસે માસ્ટરમાઇન્ડને ઝડપ્યા બાદ તરત જ એક અન્ય લૂંટનો મોટો બનાવ બનતા અટકી ગયો છે. મની ટ્રાન્સફર અને આંગડિયાનું કામ કરતા વેપારી પર ₹12 લાખની લૂંટના નિષ્ફળ પ્રયાસ અને છરી વડે હુમલાના ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે 24 કલાકમાં જ ત્રણેય ગુનેગારોને ઝડપી લીધા છે. આ ઘટનાએ ગાંધીધામમાં ગુનાખોરીના વધતા જતા પ્રમાણ પર ચિંતા જગાવી છે.ઘટનાની વિગત મુજબ, ગાંધીધામના મીઠોરોહર હાઈવે ઉપર આવેલા રાધે કોમ્પ્લેક્સમાં રાજુભાઈ રસીકલાલ ઠક્કર નસ્ત્રઘનશ્યામ ટેલિકોમસ્ત્રસ્ત્ર ના નામે આંગડિયા અને મની ટ્રાન્સફરની પેઢી ચલાવે છે. સોમવારે રાજુભાઈ બજારમાંથી વિવિધ ઉઘરાણીની ₹12 લાખની રોકડ રકમ લઈને પોતાની દુકાને પહોંચ્યા ત્યારે તેમના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.
આરોપીઓએ છરી વડે હુમલો કરતા રાજુભાઈએ હોંશિયારી દાખવી હતી. તેમણે રૂૂપિયા ભરેલો રોકડ રકમનો થેલો બાજુની દુકાનમાં ફેંકી દીધો અને બૂમાબૂમ કરી મૂકી હતી. આ દરમિયાન આસપાસના વેપારીઓ આવી જતા, હુમલાખોર આરોપીઓ પોતાની કારમાં નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત વેપારી રાજુભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
પોલીસ અધિક્ષક સાગર બાગમારે તુરંત જ નાકાબંધી કરવાનો હુકમ આપ્યો હતો. પોલીસે બનાવના સ્થળ અને જે દિશામાં લૂંટારુઓની કાર ભાગી હતી તે દિશાના વિવિધ સીસીટીવી ફૂટેજ વડે તપાસ આદરતા શંકાસ્પદ બલેનો કાર કચ્છ બહાર માળિયા તરફ જતી હોવાનું જણાયું હતું. પોલીસે સામખિયાળી પાસેથી આ કારને અટકાવીને લૂંટમાં સંડોવાયેલા તમામ ત્રણેય આરોપીઓને સફળતાપૂર્વક પકડી લીધા હતા. પોલીસે પકડેલા આરોપીઓમાં અબ્દુલ ઉર્ફે ગુરખો આમદ સોઢા (ગામ: મીઠોરોહર), અસલમ ઉર્ફે ઇકબાલ ઉર્ફે ખીસકોલી હારુન કેવર (ગામ: મીઠીરોહર) અને મામદ ઉર્ફે ઘોડો બાવલાભાઈ મથડા (ગામ: જુના કંડલા)નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે, આરોપીઓ પૈકી ગુરખા અને ખીસકોલી બંનેએ મળીને વેપારી પર છરી વડે હુમલો કર્યો હતો, જ્યારે ત્રીજા આરોપી પઘોડાથએ લૂંટમાં વપરાયેલી બલેનો કાર ચલાવી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આરોપીઓએ સોશિયલ મીડિયામાં વીડિયો નિહાળી અને રેકી કરીને આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જોકે, વેપારીની સક્રિયતા, પોલીસની સતર્કતા અને આસપાસના વેપારીઓની જાગૃતિ થકી આ લૂંટનો મોટો પ્લાન નિષ્ફળ ગયો હતો.