પાટણમાં રાહુલની સભા પૂર્વે ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યા
- રાજા-રજવાડા અંગે કરેલા વિવાદી ભાષણ સામે વિરોધ પ્રદર્શન, 20ની અટકાયત
ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદી નિવેદન બાદ ક્ષત્રિય સમાજે રૂપાલા સામે ગુજરાત વ્યાપી ઉગ્ર આંદોલન છેડયું છે. ત્યાં કર્ણાટક ખાતે જાહેરસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજા-રજવાડાઓ અંગે કરેલા નિવેદનનો વિવાદ વકર્યો છે અને આજે ગુજરાતમાં પાટણ ખાતે રાહુલ ગાંધીની જાહેરસભા યોજાય તે પૂર્વે ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
જોકે, પોલીસે 20 જેટલા લોકોની અટકાયત કરી લઇ વિરોધ પ્રદર્શન નિષ્ફળ બનાવ્યુ હતું.આજે સવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાટણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં પ્રચાર કરવાના હતા.ત્યારે રાહુલ ગાંધીની સભા પહેલા જ ક્ષત્રિયોએ સભા સ્થળે કાળા વાવટા ફરકાવ્યા હતા. રાહુલ ગાંધીએ રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણી બદલ પાટણમાં ક્ષત્રિયો દ્વારા ભારે રોષ જોવા મળ્યો છે. રાહુલ ગાંધીના આગમન પૂર્વે જ પોલીસ દ્વારા 20થી વધારે આગેવાનોની અટકાયત કરવામાં આવી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી થોડીવારમાં પાટણમાં જાહેર સભા સંબોધવાના છે. પાટણના પ્રગતિ મેદાન ખાતે જંગી સભાને સંબોધન કરશે. ત્યારે પાટણ ખાતે ચંદનજીના પ્રચારમાં આવી રહેલ રાહુલ ગાંધીનો સભા પહેલા જ વિરોધ જોવા મળી રહ્યો છે.પાટણ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ક્ષત્રિય આગેવાનો દ્વારા વિરોધ કરાયો છે. રાજા મહારાજાઓ વિશે કરેલા નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા ટીબી ત્રણ રસ્તા ખાતે કાળા વાવટા ફરકાવ્યા હતા. રાહુલ ગાંધીના આગમન પૂર્વે જ પોલીસ દ્વારા 20થી વધારે આગેવાનોની અટકાયત કરાઈ છે.