યમનના દરિયામાં બોટ ઊંધી વળતાં 68નાં મોત, 74 લાપતા
યમનના દરિયામાં બોટ ઊંધી વળતાં અંદાજે 68 આફ્રિકન શરણાર્થી ડૂબ્યા છે, જ્યારે 74 ગુમ હોવાનું યુનાઈટેડ નેશન્સ માઈગ્રેશન એજન્સીએ જણાવ્યું હતું. રિપોર્ટ અનુસાર, ગઈકાલે મોડી રાત્રે 154 ઈથોપિયનને લઈને આવી રહેલી બોટ યમનમાં અબ્યાનના દરિયામાં ગરકાવ થઈ હતી.
યમનમાં યુએનના ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનના હેડ એબ્ડુસેટર સોઈવે આ અંગે માહિતી આપી હતી કે, યમનના અબ્યાનના દરિયામાં 154 ઈથોપિયનને લઈને જઈ રહેલી બોટ પાણીમાં ગરકાવ થઈ હતી, જેમાં 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 54 શરણાર્થીઓ અને માઈગ્રન્ટ્સના મૃતદેહો ખાંફર જિલ્લાના દરિયા કિનારે તણાઈ આવ્યા હતાં. અન્ય 14ના શબ પણ જુદી-જુદી જગ્યા પરથી મળી આવ્યા હતાં. જ્યારે હજી 74 લોકો ગુમ છે.
યમન અને હોર્ન ઓફ આફ્રિકા વચ્ચેનો જળમાર્ગ જોખમી છે. જ્યાંથી શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓ માટે બંને દિશામાં મુસાફરી કરતો એક સામાન્ય પણ જોખમી દરિયાઈ માર્ગ છે. 2014માં ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યા બાદ યમનના લોકો પલાયન માટે આ માર્ગ અપનાવી રહ્યા છે. બીજી બાજુ આફ્રિકામાં ખાસ કરીને સોમાલિયા અને ઇથોપિયામાં ચાલી રહેલા સંઘર્ષથી ભાગી રહેલા કેટલાક લોકોએ યમનમાં આશ્રય મેળવ્યો છે. તે પણ આ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરે છે.