ભાટિયા નજીક બે બાઇક સામ સામે અથડાતા યુવકનું મોત
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના મૂળ વતની અને હાલ જામનગરના સરદાર નગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ મથુરભાઈ ડાભી નામના 36 વર્ષના સતવારા યુવાન તેમના જી.જે. 10 બી.ઈ. 9047 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા.
ત્યારે ભાટીયા - હર્ષદ રોડ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 37 એફ 5835 નંબરના મોટરસાયકલના ચાલક દેવશી કાનાભાઈ કોટાએ મનસુખભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ગોપાલભાઈ મથુરભાઈ ડાભી (ઉ.વ. 38, રહે. જામનગર)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે બાઈક ચાલક દેવશી કાનાભાઈ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પી.એસ.આઈ. વી.આર. શુક્લા દ્વારા હાથ ધરવામાં આવી છે.
દ્વારકામાં બાવળની ગાડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપળ્યો
દ્વારકાથી આશરે સાત કિલોમીટર દૂર બરડીયા ગામે આવેલી એક હોટેલ નજીક બાવળની જાળીમાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા દ્વારકા પોલીસે આ સ્થળે દોડી જઈ અને ઉપરોક્ત મૃતદેહનો કબજો મેળવ્યો હતો.આશરે 30 થી 35 વર્ષની વયનો આ યુવાન ભૂલથી અથવા ઠંડીના કારણે મૃત્યુ પામ્યો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
જે અંગે બરડીયા ગામના સુનિલભા માણેક (ઉ.વ. 30) ની નોંધ પરથી દ્વારકા પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની તપાસ તથા મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.