સરધાર ગામે તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત
સવારે ઘરેથી નીકળ્યા બાદ સાંજે મૃતદેહ મળી આવ્યો
રાજકોટની ભાગોળે ભાવનગર હાઈવે પર આવેલા સરધાર ગામે તલાવમાં ડૂબી જતાં યુવાનનું મોત નિપજ્યું હતું. ગઈકાલે સવારે ઘરેથી નિકળ્યા બાદ સાંજે પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત મુજબ સરધાર ગામે જીઈબી રોડ ઉપર રહેતો મુકેશ ગોરધનભાઈ મેર ઉ.વ.35 નામનો યુવાન ગઈકાલે સવારે પોતાના ઘરેથી નિકળી ગયા બાદ સાંજે ઘર નજીક તળાવના પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પાણીમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાતમિક તપાસમાં મૃતક ચાર ભાઈ ત્રણ બહેનમાં નાનો અને ગાડી ઉતારવાની મજુરી કામ કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.