ત્રિવેણી સોસાયટીમાં યુવાન અને શ્રદ્ધા સોસાયટીમાં વૃદ્ધાનો ફાંસો ખાઇ આપઘાત
શહેરમાં સંત કબીર રોડ ઉપર આવેલી ત્રિવેણી સોસાયટીમાં રહેતા યુવાને અને કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા હતા. યુવક અને વૃદ્ધાના મોતથી બંને પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સંત કબીર રોડ ઉપર આવેલી ત્રિવેણી સોસાયટીમાં રહેતા રોહિત ભીમાભાઇ જાદવ નામના 24 વર્ષના યુવાને સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રોહિત જાદવ મોરબી રોડ ઉપર ચાની હોટલ ચલાવતો હતો અને પત્ની બહાર ગયા બાદ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બીજા બનાવમાં કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા નંદુબેન શામજીભાઈ ખૂંટ નામના 65 વર્ષના વૃદ્ધા પોતાના ઘરે હતા. ત્યારે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. વૃદ્ધાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં મોટમવા વિસ્તારમાં રહેતા હેમંતભાઈ વીરાભાઇ વાઘેલા નામના વૃદ્ધ ચાર દિવસ પૂર્વે બપોરના ચારેક વાગ્યાના અરસામાં પોતાની રીક્ષા લઈને જઈ રહ્યા હતા ત્યારે મવડી નજીક અજાણ્યા કાર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હેમંતભાઈ વાઘેલાએ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.