નાના ધંધાર્થીઓ માટે શાસ્ત્રી મેદાનમાં વ્યવસ્થા કરો
મુખ્ય બજારમાંથી પાથરણાવાળા અને ફેરિયાઓને હટાવતા કોંગ્રેસની કલેક્ટર-મનપામાં રજુઆત
શહેરની મુખ્ય બજારમાં ફેરીયાઓ, પાથરણા વાળાના કારણે વેપારીઓને હાલાકી પડી રહી હોવાની રજુઆત મનપામાં કરાઇ હતી અને મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાતા ફેરીયા અને પાથરણા વાળાઓને મુખ્ય બજારમાંથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરતા નાના ધંધાર્થીઓનો જીવન નિર્વાણ મુશ્કેલ બને તેમ છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. બજારમાં ખરીદી શરૂ થઇ ગઇ છે. ત્યારે નાના ધંધાર્થીઓના ઘરમાં જપણ રોશની જળવાઇ રહે તે માટે પાથરણા અને ફેરીયાઓને શાસ્ત્રી મેદાનમાં ધંધો કરવા વ્યવસ્થા કરી આપવા કોંગ્રેસ દ્વારા મનપા અને કલેક્ટરમાં રજુઆત કરાઇ છે.
રાજકોટ શહેરના લાખાજી રોડ, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, પરાબજાર સહિતના વિસ્તારોમાં દર વર્ષે દિવાળી અને અન્ય તહેવારોમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂૂપ ધારણ કરે છે અને તંત્ર, વેપારીઓ, શહેરી ફેરીયાઓ, લારીગલ્લા અને પાથરણાંઓ વાળા વચ્ચે માથાકૂટ થતી જ રહે છે. પોલીસ તંત્ર અને રાજકોટના મહાનગરપાલિકાના તંત્રના હપ્તાનું દુષણ અને આંખમિચામણાના પગલે ટ્રાફિક સમસ્યા ઉપરોક્ત વિસ્તારોમાં શીરદર્દ બની છે. જેનો કાયમી ઉકેલ લાવવાની તંત્ર પાસે ફૂરસદ નથી વખતો વખત મારામારી પોલીસ કેસો અને તંત્રની તાનાશાહી સામે આવી છે.
કહેવાતા સ્માર્ટ સિટીમાં પાર્કિંગની સુવિધા અપૂરતી છે અને મલ્ટીલેવલ પાર્કિંગની એક ઇટ હજુ મુકાઈ નથી રાજકોટ મહાનગરપાલિકા શહેરીજનો પાસે વર્ષે 150 કરોડના વેરા વસૂલ કરવામાં આવે છે અને રાજકોટ શહેરનું પોલીસ તંત્ર શહેરીજનોના વાહનો ટોઈંગ કરી દર વર્ષે 3 કરોડ દંડનીય કાર્યવાહી કરે છે. રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકા ના સંકલનને અભાવે શહેરી ફેરિયાઓ, લારીગલા પાથરણા વાળા, વેપારીઓ અને તંત્ર વાહકો વચ્ચે ઘર્ષણોની ઘટનાઓ બનતી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરી ફેરીયાઓ માટે એક બાજુ લોન આપે છે બીજી બાજુ તંત્ર વાહકો દ્વારા ધંધો કરવા દેવામાં આવતો નથી. હાલ દિવાળી સુધી લાખાજીરાજ સ્કૂલમાં જગ્યા આપવામાં આવી છે પરંતુ કાયમી નિરાકરણ માટે શહેરના શાસ્ત્રી મેદાનમાં અમુક હિસ્સામાં શહેરી ફેરિયાઓને લારીગલા પાથરણાં વાળાને પોતાની રોજી રોટી માટે ધંધો કરવા માટેની છૂટ આપવી જોઈએ અથવા શાસ્ત્રી મેદાનની ફરતે કાયદેસરની છૂટ મળવી જોઈએ જે અંગે ટોકન દરે ચાર્જ વસુલી શાસ્ત્રી મેદાન ની જગ્યા ફાળવવા યોગ્ય કરશો. ઉલ્લેખનીય છે કે શાસ્ત્રી મેદાનમાં અગાઉ રાત્રિ બજાર પણ ભરાતી હતી.